Pages

Showing posts with label જગતના નાથનું જીવન. Show all posts
Showing posts with label જગતના નાથનું જીવન. Show all posts

Monday, 26 August 2024

આવો આજે “જગતના નાથનું જીવન” જાણીએ

આવો, આજે કૃષ્ણાયન કરીએ.

જે વાંસળી પણ વગાડી જાણે અને આંગળીએ સુદર્શન ચક્ર પણ ફેરવી જાણે, જે રણમેદાન વચ્ચે જગતની પહેલવહેલી મોટિવેશનલ સ્પીચ આપી શકે એ મલ્ટિપર્સનાલિટીના ધણી શ્રીકૃષ્ણ 'ચરૈવેતિ ચરૈવેતિ'ની જેમ ફરતા રહ્યા છે. વિરાટ ફલક પર પથરાયેલા બહુવિધ રંગી શ્રીકૃષ્ણના જીવનને જાણવાનો પ્રયાસ કરીએ.

કૃષ્ણ એટલે પળે પળે દૈવત્વ પ્રગટાવતું સર્વકાલિન બહુઆયામી વ્યક્તિત્વ. સતત પાંચ હજાર કરતા વધું વર્ષોથી હિન્દુ સંસ્કૃતિ અને ભારતીય ઉપખંડ ઉપર અભિનવ આભાને અવિરત પ્રગટાવતી વિરાટ છબી એટલે કૃષ્ણ. અરે ! ભારતીય સંસ્કૃતિ જ નહીં, વિશ્વ આખાને અચંબિત કરનાર “ભગવદ્‌ ગીતા”ના ઉદ્‌ઘોષક એટલે ભગવાન શ્રી કૃષ્ણ. સમયાંતરે વિશ્વના અનેક વિદ્વજનોએ ભગવાન કૃષ્ણને પોતપોતાની રીતે નાણવાનો અને માણવાનો પ્રયત્ન કર્યો છે. વિશ્વના વિદ્વાનો દ્વારા જયારે-જ્યારે કૃષ્ણના ચરિત્રને સમજવાનો પ્રયત્ન થયો છે, ત્યારે-ત્યારે કૃષ્ણ એક નવા જ સ્વરૂપે આપણી સામે આવ્યા છે. એટલે જ કહેવું હોઈ તો કહી શકાય કે કૃષ્ણ સમસ્ત માનવ જગતના મહાનાયક હતા, છે અને રહેશે.

કૃષ્ણ એટલે સર્વોપરિતા. કૃષ્ણ એટલે ખંડ નહીં, અખંડ. કૃષ્ણ એટલે પૂર્ણયોગી-મહાયોગી. પૃથ્વીલોકના જીવનના સમગ્ર સ્વીકારનું પ્રતીક એટલે કૃષ્ણ. સહજ શૂન્યતા અને સ્વધર્મનિષ્ઠાનું આત્યાંતિક પ્રતીક એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે ગુરુ, સખા. કૃષ્ણ એટલે “यदा यदा हि धर्मस्य...”

કૃષ્ણની એકરૂપતા અનેકરૂપી છે. કૃષ્ણને આપણે વિશ્વના મહાન સંગીતકાર કહી શકીએ. વાંસળીના સૂર થકી જીવનમાંગલ્યને રેલાવી સ્વને સહજ રીતે પામવાની અનોખી રીત એટલે કૃષ્ણ. સૂર અને લય જીવનનું આગવું લક્ષણ હોવું જોઈએ એ આપણને કૃષ્ણ પાસેથી શીખવા મળે છે. જન્માષ્ટમીના પાવન પર્વે મધરાતે 'કૃષ્ણજન્મોત્સવ' ઉજવી એની વિભાવનાને સીમિત કરવી આપણને પરવડે એમ નથી. ચંદ્રની ઈચ્છાની આપૂર્તિ માટે મધરાતે પ્રગટવાનું પસંદ કરનાર કૃષ્ણની વિભિન્ન લીલાઓમાંથી આપણા દ્વારા જીવનનું દર્શન કરી શકાય તો જ સાચો કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો ગણાય.

પ્રસિદ્ધ વાસ્તવવાદી સંત અને આધુનિક આદર્શ સ્વામી સચ્ચિદાનંદજી મહારાજે કૃષ્ણના જીવનદર્શન સંદર્ભે પોતાના સુંદર વિચારો એમના પુસ્તકમાં પ્રગટ કરેલા છે. ભગવાન કૃષ્ણએ બકાસુર નામના રાક્ષસને સંહાર્યાની વાર્તા આપણે સૌ અબાલવૃદ્ધોએ સાંભળી છે. ભગવાને જ્યારે વિરાટકાય બકાસુરને માર્યો હતો, એ પ્રસંગનું વર્ણન, કથાકાર જ્યારે શ્રોતાજનોને સંભળાવે છે, ત્યારે સૌ અહોભાવપૂર્વક શ્રીકૃષ્ણને મનોમન વંદન કરે છે. સ્વામી સચ્ચિદાનંદજી ખૂબ સરસ રીતે આ પ્રસંગને આપણી સન્મુખ મૂકી આપે છે. બક એટલે બગલો. બકાસુર એટલે આપણામાં રહેલો બકવૃત્તિરૂપી રાક્ષસ. બગલો પાણીમાં એક પગે ઊભો રહીને આકાશ સામે એકીટસે જોવાનો ઢોંગ કરતો હોય છે. હકીકતમાં એની નજર પાણીમાની માછલીમાં હોય છે. જેવી માછલી દેખાય કે ધ્યાન ધરીને ઊભો લાગતો બગલો તરાપ મારી માછલીને પકડી લે છે. મનુષ્યજાતિમાં પણ આવી બકવૃત્તિ પડેલી હોય છે. લાગ મળ્યે શિકાર કરવા અને બીજાને ગુમરાહ કરવા આપણે ધ્યાનસ્ત હોવાનો ઢોંગ કરીએ છીએ. આ વૃત્તિ એટલે બકવૃત્તિ. ભગવાન કૃષ્ણએ આવી બકવૃત્તિ પર કાબુ મેળવ્યો હતો. બકવૃત્તિ પરનો વિજય એટલે જ બકાસુર વધ; જે કૃષ્ણએ સહેલાઈથી કર્યો હતો. આપણે પણ આપણી અંદર રહેલી આવી વૃત્તિઓનો સંહાર કરવો પડશે. જો આમ કરી શકાય તો દરેકની અંદર કૃષ્ણનો જન્મ થશે. અને આ કૃષ્ણજન્મ જ સાચો 'કૃષ્ણોત્સવ' કે 'કૃષ્ણ જન્મોત્સવ' બની રહેશે.

કૃષ્ણએ કાળીનાગને નાથ્યાનો પ્રસંગ સાંભળતા જ આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. કૃષ્ણની ફેણધારી અને વિષધારી મહાકાય નાગને નાથી એની ફેણ પર નર્તન કરવાની કથા પણ પ્રતીકાત્મક રીતે અને રૂપે આપણે સમજવાનો પ્રયત્ન કરવો રહ્યો. આપણું મન મર્કટ જેવું હોય છે. આપણા આવેગો ઈંદ્રિયગત હોય છે. ઈન્દ્રિયોનો આવેગ જ્યારે પ્રબળ બને છે ત્યારે વધુ વિષેલો બની જાય છે. પછી મન ઈન્દ્રિયોનું ગુલામ બની જાય છે. કૃષ્ણએ આવેગોરૂપી ઝેરીલા ઈન્દ્રિયગત ફણીધર નાગને નાથી સમતા સાથે મનની સ્થિરતા પ્રાપ્ત કરી હતી. ઈન્દ્રિયોના ગુલામ બનવા કરતા ઈન્દ્રિયોને ગુલામ બનાવવી કપરું કાર્ય છે. આ કપરું કાર્ય પાર પાડવું એટલે કાળીનાગનું દમન કરવું.આપણે પણ આપણી અંદર રહેલા બેકાબુ ફણીધરને નાથીને સ્થિરતા સાથેની સુરક્ષાને પામવાની છે. કૃષ્ણના જીવનના એક એક પ્રસંગમાંથી આપણે જીવનનું વિસ્તૃત દર્શન પામવું રહ્યું. આ 'જન્માષ્ટમી'ના પાવન પર્વે જો આપણે આટલું કરી શકીશું તો આપણે સાચો 'કૃષ્ણ જન્મોત્સવ' મનાવ્યો ગણાશે. 

શ્રીકૃષ્ણ મહાન મિત્ર હતા. અર્જુનની દોસ્તી, માર્ગદર્શક મિત્ર તરીકે શ્રીકૃષ્ણએ જીવનભર નિભાવી હતી. એક તબક્કે કૃષ્ણ અર્જુનના સારથિ બન્યા હતા, તો એક તબક્કે એમણે ૪પ મિનિટમાં સાતસો શ્લોકો દ્વારા અર્જુનને યુદ્ધના મેદાનમાં યુગબોધ આપી આંતરજાગૃત કર્યો હતો. દ્રોપદીના સખા તરીકે અને દીનહીન સુદામાના મિત્ર તરીકેના કૃષ્ણના વિવિધ રૂપો આપણા માટે પ્રેરણાસ્રોત સમાન છે.એને જો આપણે આત્મસાત કરી શકીશું તો સાચુકલો 'કૃષ્ણ જન્મોત્સવ' થયો ગણાશે. 

કૃષ્ણએ જ્યારે-જ્યારે પોતાના ભાગે જે ભૂમિકા આવી છે, બખૂબી નિભાવી છે. સખાભાવે એણે દ્રોપદીને ભરસભામાં રક્ષી છે. મિત્રભાવે એણે સારથિપણું કર્યુ છે. પાંડવો માટે પાંચ ગામ માંગવા દુર્યોધનની સભામાં દૂત બની પાંડવોનો પક્ષ રાખ્યો છે. ગોકુળમાં બાળસખાઓને એણે માખણ અને મસ્તીમાં ઝૂમાવ્યા છે. નંદબાબા અને યશોદાના લાડ-પ્યારને એણે બાળ કનૈયા સ્વરૂપે અનહદ અનહદ મેળવ્યા છે. ગોપીઓ સાથેની નટખરાઈ અને અતૂટ પ્રેમની ગાથાઓ ભારતખંડની આબોહવામાં હજુયે મઘમઘે છે. ટૂંકમાં કૃષ્ણ એટલે ક્ષણેક્ષણ જીવવાનું મહાપ્રતીક. જીવનના મહોત્સવને મનાવવાનું ભવ્ય-દિવ્ય પ્રતીક એટલે કૃષ્ણ.

વિશ્વના સર્વશ્રેષ્ઠ યોદ્ધા એટલે કૃષ્ણ. સુદર્શન નામનું અમોધ શસ્ત્ર એમના ભાથામાં હતું. પવિત્ર તાકાતનું પ્રતીક સુદર્શન ચક્ર કૃષ્ણની આંગળીએ શોભાયમાન થતું ત્યારે જગત કૃષ્ણ સામે દંડવત થઈ જતું. કૃષ્ણ એટલે જીવનના બૃહદ જોડાણનું પ્રતીક.

અર્જુન જ્યારે યુદ્ધના મેદાનમાં નાસીપાસ અવસ્થામાં ભયભીત બની કૃષ્ણને પોતે યુદ્ધ નથી કરવા માંગતો એવું કહે છે, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એને યુદ્ધના મેદાનમા યુગબોધ આપે છે. જગતના સર્વશ્રેષ્ઠ જ્ઞાનનો ધોધ કૃષ્ણ યુદ્ધના મેદાનમાં વહાવે છે. આ ધોધ એટલે “શ્રીમદ્‌ ભગવદ્‌ ગીતા”જ્ઞાનનો અર્ક એટલે ગીતા. ગીતા કર્મયોગની કામના છે. દિગદિગંત સુધી અવિચળ રહેવા સર્જાયેલ ગીતા શ્રી કૃષ્ણની અમૃતવાણીનું અમૃતફળ છે. એનું આચમન જગતના અનેક યોગીઓ, અનેક તપસ્વીઓ અને અનેક વિદ્વાનોએ કર્યુ છે, અને ધન્યતા અનુભવી છે. સાતસો શ્લોકની અમૃતવાણી-જ્ઞાનવાણીનું એકાદ શ્લોકફળ આપણે આત્મસાત કરીશું તો જન્માષ્ટમીનું આ દુન્યવી પર્વ અલૌકિક આનંદના ઉપવનમાં આપણને અવશ્ય લઈ જશે.

કૃષ્ણ આજન્મ અનાસક્ત રહ્યા હતા. અગિયાર વર્ષે એમણે ગોકુળ છોડ્યું. બાલ્યકાળમાં અનેકોનો પ્રેમ મેળવી અચાનક વિખૂટું પડવું સહેલી વાત નથી. ઝાડ-પાન, પશુપક્ષી, ગોપ-ગોપીકાઓ, ગોકુળની માટીની મહેક વગેરે એમ જ મૂકીને ચાલી નીકળેલ શ્રીકૃષ્ણએ ફરી વખત ગોકુળ જોયું નથી. કંસને મારીને કૃષ્ણએ મથુરાનું સામ્રાજ્ય ઉગ્રસેનને સોંપી દીધું હતું. પોતે રાજ્યની કામના નથી કરી. સુદામાના તાંદુલ અને વિદૂરની ભાજી ખાનાર શ્રીકૃષ્ણએ મહાભારત યુદ્ધ વિજય પછી હસ્તિનાપુરની કામના નથી કરી. એ છેક દ્વારિકા જઈને પોતાની રાજધાની વસાવે છે. સોનાની દ્વારિકા કૃષ્ણની મહેનતનું પરિણામ છે. સોનું એટલે સાત્વિકતા. સોનું એટલે શુદ્ધતા. સોનું એટલે પવિત્રતા. સાત્વિક, શુદ્ધ અને પવિત્ર નગરના રાજા બનવું હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે. ટૂંકમાં કૃષ્ણ સ્વસ્થ રાજનીતિના પ્રતીકપુરૂષ હતા. 

વિરાટનું દર્શન અને વૈશ્વિક રાસલીલાના સુખને પામવું હોય તો તમારે યશોદા, ગોપીઓ કે નરસૈયો બનવું પડે. કૃષ્ણના પ્રેમને પામવો હોય તો આપણે રાધા અને મીરા બનવું પડે. સાધના રહિત સિદ્ધિના પરમ સ્વામી એટલે કૃષ્ણ. અકર્મના પૂર્ણ પ્રતીક એટલે કૃષ્ણ. કૃષ્ણ એટલે આત્મસુખ. કૃષ્ણ એટલે અનંત સાગરરૂપી ચેતનાનું પ્રતીક.

જન્માષ્ટમીના પર્વ નિમિત્તેનું આપણું દર્શન સ્થૂળ ન રહેતા સુક્ષ્મ બની રહેવું જોઈએ. સાધના વિના સિદ્ધિનું દર્શન જગતના આજ સુધીના ઈતિહાસમાં જો કોઈએ કરાવ્યું હોય તો એ છે એક માત્ર વ્યક્તિત્વ કૃષ્ણ. આ જન્માષ્ટમીએ આપણે કૃષ્ણાયન કરીએ તો કેમ રહે ? કૃષ્ણના ભાવવિશ્વમાં રમમાણ બની એની લીલાઓની પરમચેતનાને પામવાનો પ્રયાસ કરવો એ જ કૃષ્ણાયન. સમગ્ર સંસારસારરૂપ 'શ્રીમદ્દ ભગવદ્દ ગીતા'ના અધ્યાયોને જીવનાના અધ્યાયોમાં પરિવર્તિત કરવાની આવડત કે મહારત હાંસલ કરવાનો પ્રયાસ એટલે કૃષ્ણાયન. સ્વની ખોજમાં નીકળી પડવું એટલે કૃષ્ણાયન.

આવો, આપણે સૌ આત્મજ્ઞાનના અજવાળે કૃષ્ણાયનમ્‌ કરી જીવનના દર્શનને પામવાનો પ્રયત્ન કરીએ. આવો, સાચુકલા 'કૃષ્ણજન્મોત્સવ'ની ઉજવણી કરીએ.

🔸More Articles:-







દ્વારકાના મંદિર ઉપર જ્યારે પાકિસ્તાને સેંકડો બૉમ્બ ફેંક્યા પણ...

🔹પાકિસ્તાનની નેવીના ઇતિહાસ પ્રમાણે, 'તા. સાતમી સપ્ટેમ્બર, 1965ના પીએનએસ બાબર, પીએનએસ ખૈબર, પીએનએસ બદર, પીએનએસ જહાંગીર, પીએનએસ આલમગીર, પીએનએસ શાહજહા અને પીએનએસ ટીપુ સુલતાનને ગુજરાતના દ્વારકા ખાતે દરિયાકાંઠે પર હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું
આ હુમલા દ્વારા પાકિસ્તાની નૌકાદળ બૉમ્બેની (હાલનું મુંબઈ) ગોદીમાં ભરાયેલા ભારતીય જહાજોને બહાર કાઢવા માગતું હતું,
🔹પાકિસ્તાનના નૌકાદળ દ્વારા આ અભિયાનને 'ઑપરેશન સોમનાથ' એવું નામ આપવામાં આવ્યું હતું, છતાં તે 'ઑપરેશન દ્વારકા' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેનું મુખ્ય નિશાન દ્વારકા શહેર હતું.
🔹બૉમ્બમારામાં મોટાભાગના બૉમ્બ પાસેનાં જંગલોમાં પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી.
🔹ત્યારથી ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા દરવર્ષે 'વામન દ્વાદશી'ના દિવસે વિજયધ્વજા ચઢાવવામાં આવે છે, જેમાં ભારતીય સુરક્ષાબળોના જવાનોના વિજય અને સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવે છે.
🔹જહાજ દ્વારા છોડવામાં આવેલાં ગોળા નરમ અને રેતાળ જમીન પર પડ્યા હતા, જેથી ટ્રિગર થવાને બદલે તેમાં ખૂપી ગયા હતા.

હિંદુ ધર્મની માન્યતા પ્રમાણે, મથુરા છોડીને ગુજરાતના દરિયાકિનારે નવીન નગરીની સ્થાપના કરી હતી. અહીં દ્વારકાનું જગતમંદિર ગોમતી નદી તથા અરબ સાગરના સંગમસ્થળે લગભગ સ્થિત છે. આ મંદિર 2,500 વર્ષ જૂનું હોવાની માન્યતા છે.

1965ના ભારત-પાક. યુદ્ધ સમયે પાકિસ્તાન દ્વારા આ મંદિર તથા આસપાસનાં મહત્ત્વપૂર્ણ સ્થાનોને નિશાન બનાવીને અનેક બૉમ્બ ફાયર કરવામાં આવ્યા હતા, પરંતુ મંદિરને કોઈ નુકસાન થયું ન હતું. સ્થાનિકોનું માનવું છે કે ખુદ ભગવાન દ્વારકાધીશે મંદિરની સુરક્ષા કરી હતી, જેથી કોઈ નુકસાન થવા પામ્યું ન હતું.

પાકિસ્તાનના નૌકાદળના ઇતિહાસમાં આ હુમલાનું મહત્ત્વપૂર્ણ સ્થાન રહેલું છે. આ ઑપરેશન સાથે 'સોમનાથ' અને 'ગઝનવી' જેવાં નામો પણ જોડાયેલાં હતાં.

ચાર મિનિટ, 350 બૉમ્બ
પાકિસ્તાનની નેવીના ઇતિહાસ પ્રમાણે, 'તા. સાતમી સપ્ટેમ્બર, 1965ના પાકિસ્તાન નૌકાદળનાં જહાજો (પીએનએસ) સામાન્ય પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. ત્યારે તેમને નૌકાદળના મુખ્યાલય પાસેથી સંદેશ મળ્યો હતો. પીએનએસ બાબર, પીએનએસ ખૈબર, પીએનએસ બદર, પીએનએસ જહાંગીર, પીએનએસ આલમગીર, પીએનએસ શાહજહાં અને પીએનએસ ટીપુ સુલતાનને ગુજરાતના દ્વારકાના સમુદ્રકિનારા પર હુમલો કરવાનું ટાસ્ક સોંપવામાં આવ્યું હતું.'

'દરેક જહાજે 50-50 રાઉન્ડ ફાયર કરવા અને રાત્રે સાડા બાર વાગ્યે પોત-પોતાના પેટ્રોલિંગ એરિયામાં પરત આવવાં માટે પૂરપાટ ઝડપે નીકળી જવું. માર્ગમાં ભારતીય વાયુદળનાં વિમાન ઉપરાંત નૌકાદળનાં એક-બે જહાજોનો સામનો થઈ શકે છે, એવું અનુમાન મૂકવામાં આવ્યું હતું.'

'હુમલા પહેલાં જહાજો દ્વારકાથી છ માઇલ દૂર દરિયામાં સ્થાન લે. આ અરસામાં હથિયારોને સજ્જ રાખવામાં આવે અને નૌકાકર્મીઓ સજ્જ થઈ જાય. દ્વારકામાં બ્લૅકઆઉટ (યુદ્ધ સમયે વીજપુરવઠો બંધ કરી દેવો તથા કોઈપણ પ્રકારનો પ્રકાશ ન રાખવો, જેથી કરીને દુશ્મનોને સ્થળ-ભૂગોળ વિશે માહિતી ન મળે.) હતું, એટલે ટાર્ગેટને રડાર દ્વારા જ ઓળખવાના હતા. દ્વારકાથી સાડા પાંચ થી 6.3 માઇલના અંતરે તમામ જહાજો ગોઠવાઈ ગયાં હતાં.'

'રાત્રે 12 વાગ્યા અને 24 મિનિટે હુમલો કરવાના આદેશ છૂટ્યા. લગભગ ચાર મિનિટમાં 350 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. કોઈપણ ક્ષતિને હાનિ વગર પાકિસ્તાની જહાજો પાછાં વળી ગયાં હતાં. દુશ્મન દેશ (ભારત) દ્વારા કોઈ પ્રતિકાર કરવામાં આવ્યો ન હતો અને આઠમી તારીખે સવારે સાડા છ વાગ્યે આ જહાજો તેમના પેટ્રોલ એરિયામાં પરત ફરી ગયાં હતાં.'

આ હુમલા દ્વારા પાકિસ્તાની નૌકાદળ બૉમ્બેની (હાલનું મુંબઈ) ગોદીમાં ભરાયેલાં ભારતીય જહાજોને બહાર કાઢવાં માગતું હતું, જેથી કરીને ભારતીય જળસીમામાં ઘૂસેલી પીએનએસ ગાઝી નામની સબમરીન તેમને બહાર કાઢી શકે.

દ્વારકામાં રડાર, સંદિગ્ધ ચીમની (વાસ્તવમાં સિમેન્ટ ફેકટરીની ચીમની) તથા અન્ય મહત્ત્વપૂર્ણ મથકોને નિશાન બનાવવાં. આમ કરવાથી ભારતના મનોબળને પણ વિપરીત અસર થાય તેમ હતી.

સોમનાથ, ગઝનવી અને દ્વારકા
પાકિસ્તાનના નૌકાદળ દ્વારા આ અભિયાનને 'ઑપરેશન સોમનાથ' એવું નામ આપવામાં આવ્યું હતું, છતાં તે 'ઑપરેશન દ્વારકા' તરીકે પણ ઓળખાય છે, કારણ કે તેનું મુખ્ય નિશાન દ્વારકા શહેર હતું.

આ હુમલાનો હેતુ સેંકડો વર્ષ પહેલાં અફઘાનિસ્તાનના મહમદ ગઝનવી દ્વારા ભારત ઉપર આક્રમણ કરીને સોમનાથનું ભંજન કરવામાં આવ્યું હતું, તેની યાદ અપાવવાનો હતો. છતાં, 'ઑફિશિયલ ઑબ્જેક્ટિવ'માં તેનો સમાવેશ કરવામાં નહોતો આવ્યો.

'પીએનએસ ખૈબર' તથા તેના ક્રૂ માટે આ ટાસ્ક વિશેષ રીતે મહત્ત્વપૂર્ણ હતું. તેના ટૉર્પિડો તથા ઍન્ટી સબમરીન ઑફિસર લેફટનન્ટ કમાન્ડર (નિવૃત્તિ સમયે) પીએન ગઝનવી હતા. ક્રૂ ઇતિહાસનું પુનરાવર્તન કરવા ઉત્સુક હતું.

જ્યારે કૅપ્ટન હનિફે મિશન વિશે જણાવ્યું ત્યારથી જ તેઓ ઉત્સાહમાં હતા. ડેક પર કોઈકે પૂછ્યું કે, 'દ્વારકા ક્યાં આવેલું છે? ' જવાબ મળ્યો કે 'ગુજરાતમાં.'

ત્યારે કોઈકે પૂછ્યું કે 'શું આપણે આપણાં જ ગુજરાત શરીફ ઉપર હુમલો કરીશું?' પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પણ આ નામથી જિલ્લો આવેલો હોવાથી આ અવઢવ ઊભી થઈ હતી.

જ્યારે કોઈકે દ્વારકા વિશે વધુ વિગતો માગી, ત્યારે ફરજ પરના અધિકારીએ જણાવ્યું હતું કે 'જેમ ગઝનવીએ અફઘાનિસ્તાનથી હિંદુસ્તાનમાં પ્રવેશીને સોમનાથને ધ્વસ્ત કર્યું હતું. એવી જ રીતે આપણે દ્વારકાને ધ્વસ્ત કરીશું, જે સોમનાથથી દૂર નથી. હજાર વર્ષ પહેલાં ગઝનવીએ જે જમીન માર્ગે કર્યું હતું, તે આપણે દરિયાઈમાર્ગે લોખંડના ઘોડા ઉપર સવાર થઈને કરીશું.'

મેજર જનરલ ઇયાન કારડોઝોએ તેમના પુસ્તક The Sinking of INS Khukri: Survivor's Storiesમાં લેફ. કમાન્ડર (રિટાયર્ડ) ગઝનવીના હવાલાથી ડેક પર ઘટેલા ઘટનાક્રમનો ઉલ્લેખ કર્યો છે.

'દ્વારકાધીશે રક્ષા કરી'
સ્થાનિકોને શ્રદ્ધા છે કે ખુદ ભગવાન દ્વારકાધીશે મંદિર તથા શહેરની સુરક્ષા કરી હતી અને એટલે જ કોઈ જાનમાલની હાનિ થઈ ન હતી.

મંદિરની પૂજા અને ધ્વજા ચઢાવવાનો વિશેષાધિકાર ગુગળી બ્રાહ્મણ સમાજ પાસે છે. જેના સૅક્રેટરી કપીલ વાયડાના જણાવ્યા પ્રમાણે :

"એ દિવસ 'વામન દ્વાદશી'નો દિવસ હતો. જગત મંદિર તથા આજુબાજુનાં સુરક્ષામથકોને નિશાન બનાવીને પાકિસ્તાનના નૌકાદળે બૉમ્બ છોડ્યા હતા, પરંતુ એકપણ બૉમ્બ નિશાન પર લાગ્યો ન હતો. કેટલાક બૉમ્બ મંદિર પાસેનાં ઘરો પર પડ્યા હતા. મોટાભાગના બૉમ્બ પાસેનાં જંગલોમાં પડ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. દ્વારકાધીશે જ અમારી રક્ષા કરી હતી."

"ત્યારથી ગુગળી બ્રાહ્મણ સમાજ દ્વારા દરવર્ષે 'વામન દ્વાદશી'ના દિવસે વિજયધ્વજા ચઢાવવામાં આવે છે, જેમાં ભારતીય સુરક્ષાબળોના જવાનોના વિજય અને સુરક્ષાની પ્રાર્થના કરવામાં આવે છે. ગુગળ બ્રાહ્મણ સમાજ ઉપરાંત શહેરના આગેવાનો અને વેપારીઓ તેમાં હાજરી આપે છે."

હુમલો સફળ કે નિષ્ફળ?
પાકિસ્તાની જહાજ તા. સાતમી સપ્ટેમ્બરની સાંજે જ ભારતની જળસીમામાં પ્રવેશીને લાંગરી ચૂક્યાં હતાં. ભારતીય સુરક્ષાબળોના સત્તાવાર કથન પ્રમાણે, તેમણે મર્ચન્ટ નેવીનો સ્વાંગ લીધો હોવાથી તેમને દીવાદાંડી પરની વૉચપોસ્ટ પરથી પિછાણી શકાયાં ન હતાં.

વધુમાં પાકિસ્તાની નૌકાદળનાં જહાજોએ 'ટાર્ગેટ લૉક' કર્યા બાદ લાઇટો બંધ કરી દીધી હતી અને હવાઈહુમલા સિવાયના સંજોગોમાં 'રેડિયો સાયલન્સ' (પરસ્પર રેડિયો દ્વારા સંપર્ક નહીં કરવા) જાળવવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

ભારતીય સુરક્ષાવિશેષજ્ઞોના માનવા પ્રમાણે, જ્યારે ટાર્ગેટ સેટ કરવામાં આવ્યા હતા, ત્યારે ઓટ હતી, પરંતુ હુમલાના સમયે ભરતી આવી ગઈ હતી, જેના કારણે જળસ્તર વધી ગયું અને રડારના આધારે લૉક કરવામાં આવેલા નિશાન ચૂકી ગયા.

બીજું, જહાજ દ્વારા છોડવામાં આવેલા ગોળા નરમ અને રેતાળ જમીન પર પડ્યા હતા, જેથી ટ્રિગર થવાને બદલે તેમાં ખૂપી ગયા હતા. અન્ય એક કારણે હતું જે સ્થાનિકોએ વણફૂટેલા બૉમ્બ ઍરફૉર્સની સુરક્ષા કરતી ટુકડીને જમા કરાવ્યા હતા.

જેની ઉપરના નિશાનથી સ્પષ્ટ હતું કે તે 'ઇન્ડિયન ઑર્ડિનન્સ ફૅકટરી' દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેનું નિર્માણવર્ષ 1943 પછી અને 1947 પહેલાંનું હતું.

આમ પ્રમાણમાં જૂનો દારૂગોળો પણ ન ફૂટવા પાછળનું એક કારણ હોય શકે છે.

રેલવેના રેસ્ટ-હાઉસ અને દ્વારકાના કેટલાંક ઘરોને નુકસાન થયું હતું, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી. ભારતનું રડાર યુનિટ ટ્રક પર લાદવામાં આવેલું હતું, જે એ સમયે વરવાળામાં હતું, જે દ્વારકા તથા ઓખાની વચ્ચે આવેલું એક નાનકડું ગામ છે.

તા. છ સપ્ટેમ્બરના ભારતીય સેના જમીનમાર્ગે લાહોર તરફ આગળ વધી હતી. ભારતીય વાયુદળ તેને સપૉર્ટ કરી રહ્યું હતું, આ સંજોગોમાં ભારતીય વ્યૂહરચનાકારો નવો દરિયાઈ મોરચો ખોલવા માગતા ન હતા.

છતાં પાકિસ્તાની જહાજો કરાચીથી નીકળીને ભારતીય જળસીમાની નજીક પ્રવેશી જાય અને કલાકો સુધી તેમને કોઈ પડકાર ન મળે, તે ભારતીય નૌકાદળ માટે ક્ષોભજનક સ્થિતિ હતી જ, તેની ઉપર ભારે માછલાં ધોવાયાં હતાં.

ખુદ નૌકાદળના અધિકારીઓમાં પણ યુદ્ધ દરમિયાન કશું નોંધપાત્ર નહીં કરી શકવાનો કચવાટ હતો.

પાકિસ્તાનના મતે આ એક સફળ હુમલો હતો, જે નૌસૈનિકોના સમર્પણ, જુસ્સા તથા બહાદુરીને કારણે શક્ય બન્યો હતો.

એટલે જ પાકિસ્તાન દ્વારા દરવર્ષે આઠ સપ્ટેમ્બરના 'નૌકાદળ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

પાકિસ્તાનમાં કરવામાં આવતા દાવા અનુસાર પાકિસ્તાન નૌસેનાની 25મી સ્ક્વૉડ્રને આ ઑપરેશન હાથ ધર્યું હતું અને પાકિસ્તાની નૌકાદળે સફળતાપૂર્વક અને સિફતથી પોતાના ટાર્ગેટને પૂરો કર્યો જેમાં નૌકાદળના ઇન્સ્ટૉલેશન્સ જેમકે રેડારસ્ટેશન અને રેડિયો બિકૉનને તબાહ કર્યા હતા જેનો ઉપયોગ કરાચી પર ભારતીય વાયુસેનાના હુમલામાં માર્ગદર્શન માટે કરાતો હતો.

ભારત સામે પાકિસ્તાને નૌકાદળનો ઉપયોગ કરવા માટે તેને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધાં હતાં એ વિશે વાત કરીએ તો 1962ના આ બનાવની વાત કરી શકાય.

નેવલ વૉર કૉલેજ રિવ્યૂ (વૉલ્યુમ 55, ક્રમાંક. 2) નિવૃત્ત રિયર ઍડમિરલ ગુલાબ હિરાનંદાણીએ લખ્યું હતું કે : 1962ના યુદ્ધમાં પરાજય પછી અંદમાન નિકોબાર દ્વીપસમૂહની સુરક્ષા સેના પાસેથી લઈને નૌકાદળને આપવામાં આવી હતી. તેના દરિયાઈ વિસ્તરોમાં ઇન્ડોનેશિયાનાં જહાજોની હરકતો વધી રહી હતી. પાકિસ્તાની નૌકાદળને મદદ મળે તે માટે આમ કરવામાં આવી રહ્યું હતું.

ભારતીય નૌકાદળે પશ્ચિમ સિવાય પૂર્વના દરિયાઈ મોરચા ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું, જેથી કરીને બંને મોરચા એકસાથે ખોલી શકાય. અત્રે એ યાદ રાખવું ઘટે કે એ સમયે બાંગ્લાદેશ પણ પાકિસ્તાનનો હિસ્સો હતું, એટલે પૂર્વમાં નૌકાદળને મજબૂત બનાવવું જરૂરી હતું.

ઇજિપ્ત, ઇન્ડોનેશિયા તથા પાકિસ્તાનના નૌકાદળોને ધ્યાને લઈને 1966થી 1971 દરમિયાન નૌકાદળની જરૂરિયાતો ઉપર ધ્યાન આપવામાં આવ્યું અને વર્ષોથી પડતર અનેક નિર્ણયો લેવામાં આવ્યા તથા ખરીદીઓ કરવામાં આવી.

સબમરીનનું પગેરું દાબી શકે તેવાં પાંચ જહાજ, બે લૅન્ડિંગ શિપ, પાંચ પેટ્રોલ બોટ, ચાર સબમરીન, એક સબમરીન ડિપૉટ શિપ, એક સબમરીન રૅસ્ક્યૂ શિપ તથા આઠ મિસાઇલ બોટની સોવિયેટ રશિયા પાસેથી ખરીદી કરવામાં આવી હતી. 1971ના યુદ્ધમાં આ ખરીદીએ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી.

લગભગ છ વર્ષ અને ત્રણ મહિના બાદ ઇન્ડિયન નેવીને વેર વાળવાનો મોકો મળવાનો હતો. 1971ના યુદ્ધની શરૂઆતની સાથે જ તા. ત્રણ અને ચાર ડિસેમ્બરની મધ્યરાત્રિએ 'ઑપરેશન ટ્રાયડન્ટ' હાથ ધરવામાં આવ્યું હતું.

ભારતીય નૌકાદળની મિસાઇલ બોટોએ કરાચીનું રુખ કર્યું હતું. જ્યાં પીએનએસ ખૈબર, પીએનએસ શાહ જહાં તથા ફ્યુઅલ ટૅન્કોને ટાર્ગેટ બનાવ્યા હતા. ત્યારથી ચાર ડિસેમ્બરના દિવસને ઇન્ડિયન નેવી ડે તરીકે ઉજવવામાં આવે છે.

સોનાની દ્વારકા શોધવા દરિયાના પેટાળમાં ગયેલા મરજીવાઓને શું મળ્યું..?

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અરબ સાગરના કિનારે આવેલું દ્વારકા હિંદુઓના ચાર પવિત્ર ધામોમાંથી એક છે, જે 'સપ્તપુરી'માંથી એક છે.

હિંદુ માન્યતા પ્રમાણે, મૂળે આ શહેરની સ્થાપના શ્રીકૃષ્ણે કરી હતી અને તેમના દેહોત્સર્ગ પછી તે પાણીમાં ડૂબી ગઈ હતી. દ્વારકા નગરી એક કરતાં વધુ વખત કાળના પેટાળમાં સમાઈ ગઈ હતી. તેના ડૂબી જવાનો ચોક્કસ સમય નક્કી કરવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ તેની આસપાસનું અનુમાન ચોક્કસથી મૂકી શકાય તેવા સાંયોગિક પુરાવા છે.

ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગ દ્વારા દ્વારકાના દરિયામાં સંશોધન અને ઉત્ખનનનું કામ હાથ ધરવામાં આવ્યું છે, જેમાંથી કેટલીક રસપ્રદ ચીજો અને તથ્યો બહાર આવ્યા છે.

પશ્ચિમી દેશોમાં ઍટલાન્ટિસના ડૂબી જવાની માન્યતા છે. પ્લૅટોએ આ દંતકથાને રસાળ શૈલીમાં પ્રચલિત બનાવી છે.

ભારત સહિત વિશ્વભરમાં પ્રલય, જલપ્રલય, વિનાશ, જ્વાળામુખી જેવી ઘટનાઓમાં પૂર કે શહેર ડૂબી જવાની માન્યતાઓ કે ઘટનાઓની કોઈ કમી નથી.

આને પગલે 1966માં વિજ્ઞાની ડૉરથી વિટાલિયાનોએ ભૂસ્તરશાસ્ત્રની ઉપશાખા જિયોમાઇથૉલૉજીની સ્થાપના કરી, જેનો હેતુ કોઈ 'પૌરાણિક માન્યતા કે દંતકથા પાછળની ભૂસ્તરીય ઘટના' વિશે તપાસ કરવાનો હતો.

'શ્રીકૃષ્ણએ દ્વારકાની રચના માટે દરિયા પાસેથી જમીન મેળવી'

હિંદુઓની માન્યતા પ્રમાણે બ્રહ્યાએ 'સૃષ્ટિના સર્જનહાર', વિષ્ણુએ 'સૃષ્ટિના પાલનહાર' અને શિવ એ 'સૃષ્ટિના સંહારક' દેવ છે. કૃષ્ણએ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર છે અને તેમના જન્મપ્રસંગને જન્માષ્ટમી તરીકે દ્વારકા, મથુરા, ડાકોર, નાથદ્વારા સહિત દેશભરમાં ઊજવવામાં આવે છે.

હિંદુઓના પવિત્ર ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં કૃષ્ણના જન્મ, ઉછેર, કંસવધ, મથુરામાં પુનરાગમન, પલાયન, દ્વારકાની સ્થાપના, યાદવોનાં પરાક્રમ અને પતનનો ઉલ્લેખ છે. આ સિવાય 'મહાભારત' અને 'વિષ્ણુપુરાણ' સહિતના ધર્મગ્રંથોમાં પણ તેમના વિશે ઉલ્લેખ મળે છે.

'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ' તથા મહાકાવ્ય 'મહાભારત' અનુસાર કૃષ્ણ દ્વારા કંસનો વધ કરવાથી મગધના શાસક જરાસંઘને તેમના ઉપર ભારે કોપ ચડ્યો, કારણ કે કંસ તેમનાં બે પુત્રી અસ્તી અને પ્રાપ્તીના પતિ હતા. જરાસંઘે 17 વખત મથુરા ઉપર આક્રમણ કર્યા, દરેક વખતે કૃષ્ણ તથા બલરામે તેમના નગરની સુરક્ષા કરી. 18મી વખત મથુરાનું પતન નિશ્ચિત જણાતા તેઓ યોગબળથી નગરવાસીઓને દ્વારકા લાવ્યાં અને વસાવ્યાં.

સ્થાનિકોની માન્યતા છે કે નવું નગર વસાવવા માટે કૃષ્ણે દરિયા પાસેથી 12 યોજન જગ્યા મેળવી હતી. દેવોના સ્થપતિ (આર્કિટેક્ટ) મનાતા વિશ્વકર્માએ તેનું નિર્માણ કર્યું હતું. જેમાં કૃષ્ણનાં 16 હજાર 108 પત્નીઓ માટે મહેલો હતાં અને નગરજનો માટે રહેણાંક હતા.

કૃષ્ણે યુદ્ધનું (રણ) મેદાન છોડ્યું હોવાથી તેઓ 'રણછોડ' તરીકે ઓળખાયા અને દ્વારકાના સ્થાપક હોવાથી તેઓ 'દ્વારકાધીશ' એવું નામ મળ્યું.

ક્યારે દરિયામાં ડૂબી દ્વારકા?
હિંદુ માન્યતા મુજબ, વિષ્ણુના સાતમા અવતાર ભગવાન રામ હતા અને 'રામાયણ' તેમનું જીવનવૃત્તાંત જેવું છે. તેઓ 'મર્યાદા પુરુષોત્તમ' હતા તો કૃષ્ણ 'પૂર્ણ પુરુષોત્તમ' હતા. તેમના અવસાન પછી દ્વારકામાં જલપ્રલય થયો.

આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના (એએસઆઈ) પૂર્વ પુરાતત્ત્વજ્ઞ કે. કે. મહોમ્મદનું કહેવું છે કે, મહાભારતનો કાળ ઈસુ પૂર્વે 1400 કે 1500નો હતો. પુરાતત્ત્વવિદો આ સમય હોવાનું અનુમાન મૂકે છે.

ભારતમાં પુરાતત્ત્વીય સંશોધનનું કામ અંગ્રેજોના સમયથી ચાલી રહ્યું છે. જ્યારે એએસઆઈનું કામ સંશોધન, ઉત્ખનન અને સંરક્ષણનું છે.

'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'ના ઉલ્લેખ પ્રમાણે, 'પૃથ્વી પર 125 વર્ષ શાસન કર્યા બાદ કૃષ્ણ વૈકુંઠવાસી થયા. એ પછી શ્રીકૃષ્ણના મહેલને છોડીને દરિયાએ તમામ જમીન પરત લઈ લીધી.'

જોકે, હિંદુઓની ધાર્મિક માન્યતા અને પુરાતત્ત્વવિદોના સમયના આકલન વચ્ચે લગભગ એક હજાર 500 વર્ષનો તફાવત જોવા મળે છે.

પુરાણો અને આખ્યાનોનાં અભ્યાસુ દેવદત્ત પટનાયક (ધ કિંગ્ડમ ઑફ દ્વારકા, ડિસ્કવરી ચેનલ) જણાવે છે કે 'કુરુક્ષેત્રનું યુદ્ધ પૂર્ણ થયું, તે પછી જ્યારે શ્રીકૃષ્ણ કૌરવોનાં માતા ગાંધારીને મળવા માટે ગયાં, ત્યારે તેમણે શ્રાપ આપ્યો હતો કે જેવી રીતે મારા વંશનો નાશ થયો એવી રીતે તારા વંશનો પણ તારી નજરની સામે જ નાશ થશે. 36 વર્ષ પછી ગાંધારીનો શ્રાપ ખરો થયો અને કૃષ્ણ કશું નહોતા કરી શક્યા.'

હિંદુઓની માન્યતા પ્રમાણે, કુરુક્ષેત્રની રણભૂમિમાં કૌરવો અને પાંડવો આમનેસામને હતા. પાંડવોનો મોટો મદાર ધનુર્ધર અર્જુન ઉપર હતો. જોકે, સામે પોતાના નજીકના પરિવારજનો, ગુરૂજનો અને સન્માનીયોને જોઈને અર્જુનને આ યુદ્ધ લડવાની હિંમત નથી થતી.

આવા સમયે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કૃષ્ણ ધર્મની રક્ષાને કાજે અને ક્ષાત્રધર્મને માટે યુદ્ધ કરવા અર્જુનને ઉપદેશ આપે છે. ત્યારબાદ 18 દિવસ સુધી યુદ્ધ ચાલે છે, જેમાં અંતે પાંડવો વિજયી થાય છે. જે દિવસે ગીતા પૂર્ણ થઈ તેને પેઢી દર પેઢી હિંદુઓ 'ગીતા જયંતી' તરીકે ઉજવે છે.

સંશોધન, ઉત્ખનન, સંરક્ષણ
1960ના દાયકાના શરૂઆતના ભાગમાં દ્વારકાના જગત મંદિર પાસે એક ઘરને તોડતી વખતે ત્યાં મંદિરની ટોચ જોવા મળી હતી. એ પછી પુનાની ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નવમી સદીના વિષ્ણુ મંદિરના અવશેષ મળ્યા.

અન્ય સ્થળોએ સંશોધન દરમિયાન ચીજવસ્તુઓ મળી એ પછી ખોદકામ ચાલુ રાખતા લગભગ ત્રણેક મીટર પછી ફરી ચીજવસ્તુઓ મળી અને સંશોધન ચાલુ રખાતા ફરી ચીજવસ્તુઓ મળી.

આના આધારે વિજ્ઞાનીઓ એવું અનુમાન લગાવે છે કે દ્વારકાનો એક કરતાં વધુ વખત નાશ થયો છે. સ્થાનિકોમાં માન્યતા છે કે દ્વારકા છ વખત ડૂબી છે અને અત્યારે જે દ્વારકા છે, તે સાતમી દ્વારકા છે.

મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવી ચુકેલા પુરાતત્ત્વવિદ શિકારીપુરા રંગનાથ રાવે ત્યાં અને દરિયામાં વધુ સંશોધન હાથ ધરવાનું નક્કી કર્યું. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીમાં અંડરવૉટર આર્કિયૉલૉજીની શરૂઆત કરાવડાવી.

વર્ષ 1989 આસપાસ દરિયાના પાણીમાં તપાસ હાથ ધરવામાં આવતા દરિયાઈ વનસ્પતિ અને રેતીની નીચે લંબચોરસ પથ્થર મળી આવ્યા હતા, જે કોઈ ઢાંચાના ભાગરૂપ હોવાનું સંશોધકો માને છે. આ સિવાય અર્ધવર્તુળાકાર પથ્થર મળી આવ્યા છે, જે સ્વાભાવિક રીતે જ માનવસર્જિત છે.

આ સિવાય પથ્થરના લંગર મળી આવ્યા હતા, જેમાં છીણીટાંકણાથી કાણાં પાડવામાં આવ્યા હતાં. જે લગભગ સમાન આકારના જ છે. આ પથ્થર લાઇમસ્ટૉન છે, જે આસપાસના વિસ્તારમાં સદીઓથી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ઇન્ટરલૉકિંગ માટે કામ આવતા હશે અથવા તો તેમાં લાકડાં ભરાવવામાં આવતા હશે. આ સિવાય માટીના વાસણ, ઘરેણાં, મુદ્રા પણ મળી આવ્યાં હતાં. ઓમાન, બહેરીન તથા મૅસોપોટામિયામાં પણ આ પ્રકારની મુદ્રાઓ મળી આવી છે.

2007ના સંશોધન પહેલાં દરિયામાં 2*1 નૉટિકલ માઇલ વિસ્તારમાં હાઇડ્રોગ્રાફિક સરવે કરવામાં આવ્યો હતો. જેના આધારે પાણીના બદલાતાં વહેણનું અનુમાન મૂકવામાં આવ્યું હતું. તેના આધારે 200 વર્ગમીટરના વિસ્તારને ગ્રિડિંગ (આલેખની જેમ ઊભી અને આડી રેખાઓ દ્વારા નિર્ધારણ) દ્વારા નિર્ધારિત કરવામાં આવ્યો હતો. છેવટે માર્કિંગના આધારે 50 વર્ગ મીટરના વિસ્તારમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

આર્કિયોલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાના ઍડિશનલ ડિરેક્ટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠીએ આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું, "એ બાદ 1979માં આર્કિયોલૉજી સર્વે ઑફ ઇન્ડિયાએ બીજું ઉત્ખનન કર્યું હતું, જેમાં કેટલાંક વાસણોના અવશેષો મળી આવ્યા હતા. તે ઈ.સ. પૂર્વ 2000 વર્ષના હોવાનું માનવામાં આવ્યું હતું. દ્વારકા અને આસપાસમાં ઉત્ખનન અને શોધ ચાલતી રહી અને તે દરમિયાન ઘણા પુરાતત્ત્વીય અવશેષો મળતા રહ્યા."

તેમણે ઉમેર્યું, "ખૂબ સારી રીતે રંગ કરેલાં વાસણો મળી આવ્યાં છે. પોલિક્રોમ કરેલી વસ્તુઓ મળેલી છે, જેમાં ઘણા બધા રંગોનો ઉપયોગ છે. બાયક્રોમ પણ મળ્યા છે, જેમાં લાલ સપાટી પર કાળા રંગે ચીતરામણ કરેલું છે."

"500 કરતાં વધારે અવશેષો મળ્યા છે. આ રીતે મળેલા પદાર્થોનું કાર્બન ડેબિંગ કરાયું તેના પરથી સાબિત થાય છે કે કઈ રીતે અહીં સંસ્કૃતિ તબક્કાવાર વિકસી હશે અને પૉટરી મળી છે તે ઈસુ પૂર્વે 2000 વર્ષ જૂની છે. દરિયાની અંદરથી પણ પથ્થર બનેલી વસ્તુઓ મળી છે. જોકે તેની સાથે પૉટરી વગેરે નથી મળ્યા, કેમ કે તે ભાગમાં દરિયાનો પ્રવાહ બહુ તેજ રહ્યો છે."

તાજેતરનાં વર્ષોમાં સંશોધન માટે સોનારનો ઉપયોગ કરવામાં આવે છે. જે દરિયાના પેટાળમાં ધ્વનિતરંગ છોડે છે અને તેના પડઘાંના આધારે નીચે નક્કર વસ્તુ હોવા વિશે અનુમાન મૂકે છે. આ સિવાય ચોક્કસ વિસ્તાર નક્કી કરવા માટે જીપીએસ (ગ્લૉબલ પૉઝિશનિંગ સિસ્ટમ), મોશન સેન્સર તથા અન્ય સેન્સરની મદદથી દરિયાના પેટાળનો સરવે હાથ ધરવામાં આવે છે, જેના આધારે વધુ ચોક્કસ સ્થળની માહિતી મળે છે.

કાળક્રમે ઊંચી-નીંચી થયેલી દરિયાની સપાટી અંગે વાત કરતાં સીએસઆઈઆર-એનઆઈઓના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમ કહે છે, "લગભગ 15 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં 100 મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચી ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે તેના કરતાં પણ એ ઉપર થઈ ગઈ હતી."

"તે પછી 3500 વર્ષ પહેલાં તે ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."

સંશોધનસ્થળે ભરતી-ઓટના અંડરકરંટને કારણે માત્ર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં દરિયાની અંદર ડૂબકી મારવા માટે સાનુકૂળતા મળે છે. દેશમાં બહુ થોડાં અંડરવૉટર આર્કિયૉલૉજિસ્ટ હોવાને કારણે આ સંશોધન મંથરગતિએ આગળ વધે છે. પુરાતત્ત્વવિદ (એએસઆઈમાંથી નિવૃત) કે. કે. મોહમ્મદનું કહેવું છે કે સરકાર સંશોધન માટે પૂરતા સંસાધનો ઉપલબ્ધ નથી કરાવી રહી.

પશ્ચિમમાં સોલોમન દ્વીપ સમૂહ, સૅન્ટોરિની ટાપુ (ગ્રીસ), ઑસ્ટ્રેલિયામાં પણ 'નગર ડૂબી ગયું'ની માન્યતા પ્રવર્તમાન છે. ઑસ્ટ્રેલિયાના મૂળનિવાસીઓ માને છે કે દરિયાનું જળસ્તર વધવાથી ત્યાંનો બહોળો વિસ્તાર દરિયામાં ડૂબી ગયો હતો. આ પ્રકારની 21 જેટલી કિંવદંતીઓ તેમની વચ્ચે પ્રવર્તમાન છે.

ભારતના તામિલનાડુ પાસે મહાબલિપુરમ્ ખાતે પણ આવી માન્યતા પ્રવર્તમાન છે. વર્ષ 2004ની સુનામી દરમિયાન કેટલોક હિસ્સો દરિયામાંથી બહાર દેખાયો હોવાની વાત બહાર આવી હતી.

દ્વારકા ગુજરાતના એકદમ પશ્ચિમના છેડે અરબ સાગરના કિનારે આવેલું છે. નૅચર કૉમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત અહેવાલ પ્રમાણે, સુરત, કચ્છ, ભાવનગર અને ભરૂચને તેની અસર થઈ શકે છે. દહેજ, હઝીરા અને કંડલાને તેની વ્યાપક અસર થઈ શકે છે.

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, નવસારી, વલસાડ અને ગીરસોમનાથને તેની પ્રમાણમાં મધ્યમથી ઓછી અસર થશે. આ સિવાય કચ્છ ફરી એક વખત દ્વીપ બની જશે તેવી આશંકા પણ દરિયાઈ જળસ્તર અંગેના રિપોર્ટમાં વ્યક્ત કરવામાં આવી છે. 

બેટદ્વારકાની કહાણી : જ્યાં સિગ્નેચર બ્રિજ ખુલ્લો મુકાયો એ બેટ કેવી રીતે પાણીથી ઘેરાઈ ગયો?

આ સેતુ બૃહદ 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર'નો ભાગ છે, જેના હેઠળ આ વિસ્તારમાં ધાર્મિક ઉપરાંત અન્ય પ્રકારના પર્યટનને પ્રોત્સાહન આપવાનો તથા અન્ય નવીન આકર્ષણોને ઉમેરવામાં આવશે અને તેમાંથી અમુકની જાહેરાતો તાજેતરની મુલાકાત વખતે થઈ શકે છે.

બેટદ્વારકાનું વધુ એક નામ શંખોદ્વાર પણ છે અને તેની પાછળ કહાણી પણ છે. ટાપુ સાથે ધાર્મિક, પૌરાણિક, પુરાતત્ત્વીય અને ઐતિહાસિક મહત્ત્વ પણ જોડાયેલું છે. જોકે, અહીંના પ્રકલ્પોની પાછળ રાજકીય ગણતરીઓ રહેલી હોવાનું પણ મનાય છે.

પ્રચલિત માન્યતા પ્રમાણે, મહાભારતના સમયમાં દ્વારકા તથા બેટદ્વારકાનો ઉલ્લેખ છે, પરંતુ એથી પણ જૂની દંતકથા આ વિસ્તાર સાથે જોડાયેલી છે. હિંદુ ઉપરાંત શીખ ધર્મનું મહત્ત્વપૂર્ણ ગુરુદ્વારા તથા મુસ્લિમોનાં આસ્થાકેન્દ્રો પણ અહીં આવેલાં છે.

વિવિધ ધર્મોનું આસ્થાકેન્દ્ર દ્વારકા

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, રૂ. 978 કરોડના ખર્ચે તૈયાર થયેલો લગભગ અઢી કિલોમીટરનો પુલ લોકાર્પણ માટે તૈયાર છે. જેમાં બંને બાજુ ફૂટપાથ પર સોલાર પૅનલ લગાડવામાં આવી છે, જે એક મૅગાવૉટ વીજળીનું ઉત્પાદન કરશે.

આ સિવાય બ્રિજની બંને બાજુએ શ્રીમદ્દ ભગવદ્દગીતાના ઉપદેશ તથા શ્રીકૃષ્ણની અલગ-અલગ તસવીરો ચિત્રિત કરવામાં આવી છે.

શીખોના દસમા ગુરુ ગોવિંદસિંહના 'પંજ પ્યારે'માંથી એક ભાઈ મોખમચંદ બેટદ્વારકાના હતા. તેમના નામથી અહીં ગુરુદ્વારા આવેલું છે, જે શીખો માટે પણ પવિત્ર યાત્રાધામ છે. આ સિવાય અહીં દંડી હનુમાન મંદિર આવેલું છે, જ્યાં તેમની સાથે તેમના પુત્ર મકરધ્વજ પણ બિરાજમાન છે.

ખુદા દોસ્ત મસ્જિદ મુસ્લિમો માટે આસ્થાનું કેન્દ્ર છે. હાજી કિરમાણીના ઉત્સવમાં ભાગ લેવા માટે પણ આજુબાજુમાંથી હજારોની સંખ્યામાં મુસ્લિમો અહીં આવે છે.

સમુદ્ર પર સેતુનિર્માણ પહેલાં શ્રદ્ધાળુઓ ગીચોગીચ ભરેલી બોટમાં જોખમી મુસાફરી ઊભાઊભા ખેડે છે, જે વૃદ્ધ અને ઉંમરલાયક માટે કષ્ટદાયક બની રહે છે. બોટમાં આવનજાવનની ટિકિટ રૂ. 10થી રૂ. 40ની રહેતી.

યાત્રાળુઓની સિઝન ન હોય ત્યારે એક બોટ ભરાવવામાં પણ સમય લાગતો, જેના કારણે સમય પણ વેડફાતો. હવે, તેઓ અંગત વાહનમાં બેટદ્વારકા સુધી જઈ શકે છે.

દ્વારકાના જગતમંદિર પર ધજા ચઢાવવાનો વિશેષાધિકાર ધરાવતા ગૂગળી બ્રાહ્મણ સમાજના સેક્રેટરી કપિલ વાયડાના કહેવા પ્રમાણે, "બેટદ્વારકા સુધીનો બ્રિજ બનવાને કારણે શ્રદ્ધાળુઓ માટે જાત્રા એકદમ સુગમ બની જશે. અગાઉ જેટીથી મંદિર સુધીનો પ્રવાસ ખેડવાની સમસ્યા હતી. હવે, મંદિરથી એકદમ નજીક જ પાર્કિંગ સ્થળ ઊભું કરવામાં આવ્યું છે, જ્યાં સુધી શ્રદ્ધાળુઓ કાર-બસમાં બેસીને પહોંચી શકે છે."

વાયડા ઉમેરે છે, "આ પહેલાં દિવસ આથમ્યે બેટદ્વારકાના રહેવાસીઓ માટે કોઈ મેડિકલ કે સામાજિક ઇમર્જન્સી ઊભી થતી તો તેમના માટે કપરી સ્થિતિ હતી અને ઘણી વખત સવાર સુધી રાહ જોવી પડતી. હવે, પુલ બની જવાથી એ ચિંતા નહીં રહે."

પુલ બની જતાં પર્યટકો શિવરાજપુર બીચ, નાગેશ્વર મહાદેવ મંદિર તથા આસપાસનાં જોવાલાયક સ્થળો માટે વધુ સમય ફાળવી શકશે, કારણ કે પહેલાં બોટના સમય અને અવરજવરનો સમય વગેરે ધ્યાને લેવા પડતા.

જમીન સાથે રાજકીય સેતુ?
દાયકાઓથી તીર્થધામ દ્વારકા તથા તેની આસપાસનો વિસ્તાર ધાર્મિક અને કેટલાંક પુરાતત્ત્વીય સ્થળો માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે, પરંતુ દ્વારકાથી 27 કિલોમીટર દૂર આવેલા શિવરાજપુર બીચને 'બ્લૂ ફ્લૅગ બીચ' તરીકે વિશ્વના પર્યટન નકશા પર સ્થાન મળતા પ્રવસનક્ષેત્રે સંભાવનાઓ પણ વધી છે.

શિવરાજપુરમાં લગભગ 200 કરોડનાં કામ થઈ રહ્યાં છે અને દ્વારકાથી શિવરાજપુર પહોંચવાનું સુગમ બને તે માટે રસ્તાઓ વિકસાવાઈ રહ્યા છે.

પર્યટન વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, "પર્યટનક્ષેત્રે કોઈ પણ સર્કિટ કે કૉરિડૉરને વિકસાવતા પહેલાં 'ઍન્કર પ્લૅસ' પસંદ કરવામાં આવે છે. સ્વાભાવિક રીત 'દેવભૂમિ દ્વારકા કૉરિડૉર' માટે આ 'ઍન્કર પ્લૅસ' દ્વારકા છે."

"પુલનું કામ શરૂ થયું, તે પહેલાં બેટદ્વારકા ખાતે એક અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે જે લોકો બેટદ્વારકા આવે છે, તેમનો હેતુ ધાર્મિક જ હોય છે. મોટા ભાગના મુલાકાતીઓ ઉંમરલાયક હોય છે અને તેઓ બે-ત્રણ કલાક અહીં પસાર કરે છે અને તેઓ સરેરાશ કે ઓછી આવક ધરાવનારા હોય છે."

ઉપરોક્ત અધિકારી મીડિયા સાથે વાત કરવા માટે અધિકૃત ન હોઈ નામ ન છાપવાની શરતે માહિતી આપી છે. ઓખા નગરપાલિકા દ્વારા થોડા મહિના પહેલાં બેટદ્વારકામાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે આ પ્રકલ્પો માટે જરૂરી જમીન ખુલ્લી કરવા માટે કરાઈ હતી? એ સવાલનો જવાબ આપવાનું આ અધિકારીએ ટાળ્યું હતું.

બેટદ્વારકા અને ઓખાનું અંતર કેમ અને ક્યારે ઘટવા લાગ્યું હશે?
દ્વારકાવાસીઓનું માનવું છે કે હિંદુઓની પવિત્ર ભૂમિ છ વખત પાણીમાં ડૂબી છે અને અત્યારે તેનું સાતમું સ્વરૂપ છે.

અગાઉ ડેક્કન કૉલેજ અને એએસઆઈ (આર્કિયૉલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા) દ્વારા દ્વારકાના જગતમંદિર પાસે કરવામાં આવેલા ખોદકામમાં મળી આવેલાં અવશેષોએ આ માન્યતાને દૃઢ કરી છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફીના ભૂતપૂર્વ મુખ્ય વિજ્ઞાની ડૉ. રાજીવ નિગમે આ પહેલાં બીબીસીને જણાવ્યું હતું, "લગભગ 15000 હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી અત્યારે છે, તેના કરતાં 100 મીટર નીચી હતી. તે પછી દરિયાની સપાટી ફરી થોડી ઊંચે ગઈ હતી અને 7000 વર્ષ પહેલાં અત્યારે છે, તેના કરતાં પણ એ ઉપર પહોંચી ગઈ હતી."

"તે પછી 3500 વર્ષ પહેલાં જળપાટી ફરીથી નીચે આવી હતી અને લગભગ તે ગાળામાં દ્વારકા નગરીની સ્થાપના થઈ હતી. પરંતુ તે પછી ફરી દરિયાની સપાટી વધવા લાગી એટલે નગર તેમાં ડૂબવા લાગ્યું."

સ્વાભાવિક છે કે તેની અસર માત્ર 35 કિલોમીટર દૂર આવેલા ટાપુપ્રદેશ એવા બેટદ્વારકા પર પણ વધતાં-ઘટતાં જળસ્તરની અસરે થઈ હોય. તાજેતરનાં વર્ષોમાં દરિયાના વધતા-જતા જળસ્તર માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર માનવામાં આવે છે, ત્યારે અગાઉ થયેલી આ વધ-ઘટ માટે કુદરતી પરિબળો જવાબદાર રહ્યાં હશે.

કપિલ વાયડાના કહેવા પ્રમાણે, "જો દ્વારકા એ ભગવાન શ્રીકૃષ્ણની કચેરી હતી, તો શંખોદ્વાર તરીકે ઓળખાતું બેટદ્વારકા એ તેમનું નિવાસસ્થાન હતું, જ્યાં તેઓ તેમનાં રાણીઓ, પરિવારો અને 56 કોટિ યાદવ સાથે રહેતાં. બોટથી તેઓ અવરજવર કરતા હોવાના ઉલ્લેખ પણ પુરણોમાં મળે છે."

વાયડા ઉમેરે છે કે સંસ્કૃતમાં 'કોટિ' એટલે એક કરોડનો આંક થાય, પરંતુ તે સમયના સંદર્ભમાં આ આંકડો કેટલો હતો તે વાદનો વિષય છે.

આઇલૅન્ડનો ઇતિહાસ
ભારતીય પુરાતત્ત્વીય વિભાગના વિખ્યાત આર્કિયૉલૉજિસ્ટ એસ.આર. રાવે દ્વારકા તથા તેની આસપાસના વિસ્તારોમાં જમીન પર તથા દરિયામાં પુરાતત્ત્વીય શોધમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રયાસો થકી જ ગોવાસ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઑશનોગ્રાફી ખાતે મરીન આર્કિયૉલૉજીની શરૂઆત થઈ હતી.

રાવ પોતાના ઇન્ટરવ્યૂ અને ભાષણોમાં કહેતા કે 'કૃષ્ણ અને દ્વારકાની ઐતિહાસિક તથ્યતા પર સવાલ ઊભા કરવામાં આવી રહ્યા હતા, જેણે મને ત્યાં અને આસપાસના વિસ્તારોમાં પુરાતત્ત્વીય ઉત્ખનન અને શોધ કરવા માટે પ્રેરણા આપી.'

રાવ માનતા કે મહાભારત અને પુરાણોમાં જે 'વારિદૂર્ગ' એટલે કે પાણીની વચ્ચે કિલ્લાનો જે ઉલ્લેખ મળે છે તે બેટદ્વારકા વિશે જ છે.

એનઆઈઓના મરીન આર્કિયૉલૉજિસ્ટ અને વિભાગના ચીફ ટેકનિકલ ઑફિસર અનિરુદ્ધસિંહ ગોરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું, "બેટદ્વારકા એ કચ્છના અખાતનું પ્રવેશદ્વાર છે તે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે. બેટદ્વારકા વહાણવટા, માછીમારી તથા શંખના કારણે અહીં ઓછા-વધુ પ્રમાણમાં માનવવસતિ રહેવા પામી છે. વચ્ચેની લગભગ ત્રણેક સદીઓને બાદ કરતાં છેલ્લા લગભગ ત્રણ હજાર 900 વર્ષ દરમિયાન અહીં માનવવસતિ રહી હોવાના પુરાવા આપણને મળે છે."

ગોરના મતે ઓખામંડળને 'સંયુક્ત એકમ' તરીકે જોવામાં આવે તો નાગેશ્વરનો ઇતિહાસ લગભગ ચાર હજાર 500 વર્ષ જૂનો છે અને તે હડપ્પા સંસ્કૃતિની 'મૅચ્યોર સાઇટ' છે, જ્યારે બેટદ્વારકા એ 'લૅટ હડપ્પન સાઇટ' છે.

હિંદુઓની માન્યતા છે કે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ પાંચ હજાર 250 વર્ષ પહેલાં હાલના ઉત્તર પ્રદેશના મથુરામાં આવેલા કારાગૃહમાં થયો હતો, ત્યારે બેટદ્વારકામાં મળેલા જૂનામાં જૂના પુરાવા લગભગ ત્રણ હજાર 900 વર્ષ પુરાણા છે. ત્યારે આ તફાવત કેમ ? એવા સવાલના જવાબમાં ગોરનું કહેવું છે :

"દ્વારકા જ નહીં, પરંતુ અન્યત્ર પણ લોકોમાં પ્રચલિત માન્યતા કે કિંવદંતીઓમાં ઘણી વખત તથ્ય રહેલું હોય છે અને પુરાતત્ત્વીય ખોજ કરતા આપણને અમુક અવશેષો પણ મળે છે. જોકે, પુરાતત્ત્વવિદનું કામ મળેલા પુરાવાના આધારે અભિપ્રાય આપવાનું હોય છે."

ગોર તથા સહ-લેખકોએ બેટદ્વારકામાં થયેલી પુરાતત્ત્વીય શોધખોળ વિશે દેશ-વિદેશના અનેક જર્નલોમાં શોધપત્ર લખ્યા છે. તેઓ કહે છે કે અલગ-અલગ સ્થળોએ અંડરવૉટર આર્કિયૉલૉજીમાં ભિન્ન-ભિન્ન પ્રકારના પડકારો જોવા મળે છે. એટલે સુધી કે બેટદ્વારકા અને દ્વારકાનો દરિયો પણ સરખો નથી.

બેટદ્વારકા બન્યું યાત્રાધામ
300થી એક હજાર 800 મીટર પહોળો બેટદ્વારકાનો વિસ્તાર લગભગ બાર કિલોમીટરનો છે. તેની જમીનનો આકાર શંખ જેવો હોવાથી તે શંખોદ્વાર તરીકે ઓળખાય છે.

આ સિવાય અહીં પુષ્કળ પ્રમાણમાં સારી ગુણવતાવાળા શંખ મળી આવતાં હોવાથી પણ તેને આ નામ મળ્યું હોવાનું માનવામાં આવે છે.

જોકે, તે પહેલાં પણ દ્વારકામાં વસતિ હોવાનો પુરાણોમાં ઉલ્લેખ મળે છે. વિષ્ણુ પુરાણમાં પણ આનો એક ઉલ્લેખ છે.

મહાભારતના 'મૌસલપર્વ', હિંદુઓના સર્જનના દેવ વિષ્ણુના અવતારો પર આધારિત ધાર્મિકગ્રંથ 'વિષ્ણુ પુરાણ' તથા 'શ્રીમદ્ ભાગવત્ મહાપુરાણ'માં આપવામાં આવેલા વિવરણ પ્રમાણે, કૃષ્ણે દરિયાદેવ પાસેથી 12 યોજન જમીનની માગણી કરી. જે તેમણે આપી.

આઠમી સદી દરમિયાન આદિ શંકરાચાર્યે ઉત્તરમાં બદરિકાશ્રમ જ્યોર્તિપીઠ (બદરીનાથ, ઉત્તરાખંડ), પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત), પૂર્વમાં ગોવર્ધનપીઠ (પુરી, ઓડિશા) અને દક્ષિણમાં શ્રૃંગેરી શારદાપીઠમ્ (ચિકમંગલૂર, કર્ણાટક) સ્થાપ્યાં.

આ પછી દ્વારકાના ધાર્મિક મહત્ત્વમાં વધારો થયો હતો. તેમણે જ દ્વારકાના મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે.

મધ્યકાલીન યુગમાં દ્વારકા અને બેટદ્વારકા સહિત અનેક મંદિર ખંડિત થયાં. એ પછી 16મી સદી દરમિયાન પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના વિઠ્ઠલ ગુસાંઈજીએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવડાવ્યો હોવાનું સ્થાનિકોનું કહેવું છે.

1857માં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની સામે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, ત્યારે ઓખામંડળ વિસ્તાર પણ તેમાંથી બાકાત ન હતો. અહીંના વાઘેરોએ ઓખામંડળ વિસ્તારામાં કંપની સરકારના સૈનિકોને ટક્કર આપી હતી. તે દરમિયાન બેટદ્વારકાનું મંદિર અને કિલ્લો ખંડિત થયાં હતાં.

કંપની સરકારના પતન પછી બ્રિટનનાં મહારાણીએ ભારતનું શાસન સંભાળ્યું. અંગ્રેજ સેનાએ અને બરોડાના ગાયકવાડની મદદથી વાઘેરોની ચળવળને ડામી દીધી અને આ વિસ્તાર વડોદરાના મરાઠા શાસકો હેઠળ આવ્યો.

ભૌગોલિક દૃષ્ટિએ દૂર હોવાથી અને ખારાશવાળી જમીન હોવાને કારણે ઓખામંડળ વિસ્તારમાં ખાસ ઉદ્યોગધંધા કે ખેતી નહોતા. દેશભરમાંથી દ્વારકાના દર્શને આવતાં શ્રદ્ધાળુઓ નગરના અર્થતંત્રનો આધાર હતા. કચ્છથી તત્કાલીન બૉમ્બે (હાલનું મુંબઈ) જતી આગબોટો ઓખા-દ્વારકાના દરિયામાં ઊભી રહેતી.

વર્ષ 1887માં તત્કાલીન અંગ્રેજ સરકાર સાથેના કરારને કારણે અહીંનો મીઠા ઉદ્યોગ પણ પડી ભાંગ્યો હતો. વર્ષ 1922માં અંગ્રેજ અને ગાયકવાડ સરકારો વચ્ચે નવેસરથી કરાર થયા, જેમાં મીઠા ઉદ્યોગને ફરી શરૂ કરવાની છૂટ આપવામાં આવી.

વર્ષ 1926માં ઓખા બંદર ધમધમતું થયું. વર્ષ 1927માં મીઠાપુર ખાતે મીઠા ઉદ્યોગ શરૂ થયો, જે આગળ જતાં ટાટા કેમિકલ્સે હસ્તગત કર્યો. આ સિવાય પણ કેટલાક કેમિકલ ઉદ્યોગ સ્થપાયા. 1940ના દાયકાના અંતભાગમાં ઓખા ખાતે બિરલા જૂથનો કાર ઍસેમ્બલી પ્લાન્ટ શરૂ થયો હતો, જે 1948 સુધી ચાલ્યો.

સ્વતંત્રતા પછી 1965 અને 1971ના પાકિસ્તાન સાથેના યુદ્ધ સમયે ઓખા, દ્વારકા તથા આસપાસના દરિયાનું વ્યૂહાત્મક મહત્ત્વ રહ્યું હતું અને તેના પર હુમલા પણ થયા હતા.

દ્વારકાના જગતમંદિરને નિશાન બનાવીને બૉમ્બ ફેંકવામાં આવ્યા હોવા છતાં મંદિરને ક્ષતિ નહોતી પહોંચી અને હિંદુઓ તેને 'ઇશ્વરીય ચમત્કાર' માને છે, જ્યારે સૈન્ય નિષ્ણાતોના અલગ અભિપ્રાય છે.

દ્વારકાનું હાલનું મંદિર કોણે બંધાવ્યું હતું?


ગુજરાતની પશ્ચિમે આવેલું દ્વારકા નગરની હિંદુ શ્રદ્ધાળુઓ વિશેષ મહત્ત્વ ધરાવે છે અને 'જન્માષ્ટમી'ના તહેવાર દરમિયાન અહીં વિશેષ ભીડ જોવા મળે છે. નગરના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અહીંનું જગત મંદિર છે.

ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું દ્વારકા શહેર એ હિંદુઓનાં ચાર સૌથી પવિત્ર યાત્રાધામમાંથી એક છે તથા તેનો સમાવેશ 'સપ્ત પુરી'માં થાય છે.

હિંદુઓની માન્યતા પ્રમાણે, આ નગરનું નિર્માણ કૃષ્ણે કરાવ્યું હતું. તેમના દેહાવસાન પછી જળપ્રલય થયો તથા આ નગર પાણીમાં ડૂબી ગયું. તેમના પ્રપૌત્ર વજ્રનાભે દ્વારકામાં તેમના પ્રપિતામહનું પ્રથમ મંદિર બનાવ્યું હોવાની અનુશ્રુતિ છે.

પુરાતત્ત્વવિદોને દ્વારકાના દરિયામાં સંશોધન કરતા ત્યાં બંદર ધમધમતું હોવાના તથા વસાહત હોવાના પુરાવા મળ્યા હતા.

કૃષ્ણ: દ્વારકાધીશથી દેહોત્સર્ગ
હિંદુઓમાં પ્રચલિત માન્યતા પ્રમાણે, મામા કંસને હઠાવીને કૃષ્ણે મથુરામાં યાદવોનું શાસન પ્રસ્થાપિત કર્યું હતું અને તેઓ યાદવકુળના 'સર્વોચ્ચ નેતા' હતા.

કંસના સસરા જરાસંઘ તથા શિશુપાલના વારંવારના હુમલાથી પ્રજાને બચાવવા માટે તેમણે હાલના સૌરાષ્ટ્રમાં અરબી સમુદ્ર પાસે દ્વારકાના નામે નવું શહેર સ્થાપ્યું હતું.

નવું શહેર વસાવ્યું હોવાને કારણે 'દ્વારિકાધીશ' તરીકે ઓળખાયેલા કૃષ્ણે અહીં ધર્મરાજ્યની સ્થાપના કરી હોવાનો હિંદુ શાસ્ત્રોનો મત છે.

હિંદુઓના ધર્મગ્રંથ 'શ્રીમદ્ ભાગવત્ પુરાણ'ના 10મા સ્કંધના (પુરાણનો પેટા ખંડ)ના અલગ-અલગ અધ્યાયમાં નારદ મુનિ તથા કૃષ્ણના બાળમિત્ર સુદામાની નજરે શહેરનું વર્ણન કરવામાં આવ્યું છે.

નવા નગર માટે દરિયાદેવે જગ્યા કરી આપી હતી અને સ્થાપત્યના દેવતા વિશ્વકર્મા દ્વારા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું, જેના મહેલ સોનાથી મઢેલા હતા અને એમાં 'યદુવંશી' રહેતા હતા.

ઉપરોક્ત ધર્મગ્રંથના વિવરણ પ્રમાણે, કૃષ્ણને અંતરિક્ષમાંથી અમંગળના આગમનનો અણસાર મળી ગયો હતો, એટલે તેમણે મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શંખોદ્વાર મોકલી દીધાં, જ્યારે તેઓ યાદવ પુરુષો પ્રભાસક્ષેત્રમાં ગયા. જ્યાં તેમણે ધર્મકાર્ય અને દાન-પુણ્ય કર્યાં.

એ પછી શરાબનું સેવન કરવાને કારણે તેમના વચ્ચે હિંસા થઈ અને કૃષ્ણ, બલરામ (કે બલભદ્ર) તથા યાદવપુરુષો મૃત્યુ પામ્યા. સારથિ દારુકે દ્વારકા જઈને કૃષ્ણ-બલરામના પિતા વાસુદેવ તથા રાજા ઉગ્રસેનને યાદવ યૌદ્ધા તથા બંને ભાઈઓનાં મૃત્યુના સમાચાર આપ્યા. જેને સાંભળીને વાસુદેવ, તેમનાં પત્ની દેવકી અને રોહિણી અવસાન પામ્યાં. વિધવાઓ તેમના પતિની ચિતામાં સતી થઈ.

ભારતીય સમાજમાં સદીઓ સુધી પ્રચલિત સતી થવાની આ અમાનુષી પ્રથા પર બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના કાળ દરમિયાન સમાજસુધારક રાજા રામમોહન રૉયના પ્રયાસોથી લૉર્ડ વિલિયમ બૅન્ટિકે ઈ.સ. 1829માં પ્રતિબંધ લાદ્યો હતો.

જોકે, દ્વારકાની માન્યતા પર પાછા ફરીએ તો એ પછી અર્જુને જેનું કોઈ ન હતું, તેવા યાદવોનું પિંડદાન કર્યું તથા બાકીના યદુવંશી સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને પોતાની સાથે ઇન્દ્રપ્રસ્થ લઈ ગયા અને ત્યાં તેમને વસાવ્યાં. તેમણે કૃષ્ણના પ્રપૌત્ર (પ્રદ્યુમ્ન તથા તેમના પુત્ર અનિરુદ્ધના પુત્ર) વજ્રનો રાજ્યાભિષેક કરાવ્યો. આગળ જતાં વજ્રનાભે દ્વારકામાં પોતાના વડદાદા કૃષ્ણનું મંદિર બંધાવ્યું હોવાની અનુશ્રુતિ છે.

100ની નોટ પરની રાણકી વાવમાં એક ડોકિયું
સ્વતંત્રતા પછી દેશના હડપ્પા સંસ્કૃતિનાં મોટા ભાગનાં સંશોધનસ્થળ નવગઠિત પાકિસ્તાનને ફાળે ગયાં હતાં એટલે આર્કિયૉલૉજિકલ સરવે ઑફ ઇન્ડિયાએ દેશનાં પ્રાચીનસ્થળોને નવીન નજરથી જોવાનું શરૂ કર્યું. પ્રાચિન લખાણ, ખંડેર, અનુશ્રુતિ તથા ઇમારતોના આધારે નવેસરથી સંશોધન હાથ ધરવામાં આવ્યાં.

જ્યારે પ્રાચીન દ્વારકા વિશે ચર્ચા થઈ, ત્યારે વર્તમાન સમયના દ્વારકા, બેટ દ્વારકા, પ્રભાસ-પાટણ નજીક મૂળ દ્વારકા અને પોરબંદર તથા મિયાણીની વચ્ચે પણ મૂળ દ્વારકા પણ ઊંડાણપૂર્વક સંશોધન માટેનાં દાવેદારસ્થળોમાં સામેલ હતાં.

પૌરાણિક વિવરણો મુજબ દ્વારકાની આજુબાજુ રૈવતક પર્વત આવેલો હતો. હાલની દ્વારકાની આજુબાજુમાં પર્વત આવેલો ન હોવાથી કેટલાક ઇતિહાસકારો અને સંશોધકોમાં વર્તમાન સમયનું દ્વારકા શહેર જ પ્રાચીન નગર હોવા અંગે વાદ રહ્યો હતો.

મૂળ કર્ણાટકના પરંતુ ગુજરાતના પ્રાચીનસ્થળો અને તેમાં પણ દ્વારકા વિશે ઊંડાણપૂર્વક સંશોધન કરનાર શિકારીપુરા આર. રાવ તેમના પુસ્તક 'મરીન આર્કિયૉલૉજી' (પેજ 49-51) ઉપર લખે છે, 'આઠમી કે નવમી સદીથી મહાન સંતો જામનગર (હાલનો દેવભૂમિ દ્વારકા) જિલ્લામાં આવેલી દ્વારકાને જ દ્વારકા માને છે.'

હિંદુ ધર્મના આદિ શંકરાચાર્યે આઠમી સદી દરમિયાન ઉત્તરમાં બદરિકાશ્રમ જ્યોર્તિપીઠ (બદરીનાથ, ઉત્તરાખંડ), પશ્ચિમમાં શારદાપીઠ (દ્વારકા, ગુજરાત), પૂર્વમાં ગોવર્ધનપીઠ (પુરી, ઓડિશા) અને દક્ષિણમાં શ્રૃંગેરી શારદાપીઠમ્ (ચિકમંગલૂર, કર્ણાટક) સ્થાપી.

આ પછી દ્વારકાના ધાર્મિક મહત્ત્વમાં વધારો થયો હતો. તેમણે જ દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હોવાનું માનવામાં આવે છે, જે પછી અહીં માનવવસાહત સ્થપાઈ હશે.

ડૉ. હસમુખ સાંકળિયાના (ઍક્સ્કેવૅશન ઍટ દ્વારકા, પેજ 29-40, ઝેડ ડી. અંસારી, એમ. ડી. મૅટ) નેતૃત્વમાં દ્વારકાના મંદિરની પાસે એક જગ્યાએ ડેક્કન કૉલેજ દ્વારા ખોદકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પૉલિક્રૉમ કરેલી કાચની બંગડીઓ તથા ગ્લૅઝ કરેલાં વાસણ મળી આવ્યાં હતાં, જેને ઇસ્લામિક યુગ સાથે જોડીને જોવામાં આવે છે.

સંશોધકોનું માનવું છે કે 10મી સદી આસપાસ ઓખામંડળના લોકોનો ભૂમધ્ય સમુદ્રના દેશો સાથે દરિયાઈ વેપાર કરતા, જેના કારણે આ ચીજવસ્તુઓ અહીં સુલભ બની હશે.

મધ્યકાળમાં મંદિર
ઈ.સ. 1775થી 1800 આસપાસ બનાવવામાં આવેલાં શ્રીકૃષ્ણના વારિદૂર્ગનું કલ્પના ચિત્ર

ગુજરાતમાં ઇસ્લામિક યુગની શરૂઆત થઈ તે પછી મહમદ બેગડાના સમયમાં દ્વારકા ખંડિત થયું હોવાના લખાણ મળે છે. કૅપ્ટન એચ. વિલ્બરફૉર્સ-બેલ 'ધ હિસ્ટ્રી ઑફ કાઠિયાવાડ'માં (પેજ 83-86) લખે છે કે રા' માંડલિકના પરાજય પછી મહમદ બેગડાનું જૂનાગઢ અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારો ઉપર પ્રભુત્વ સ્થપાઈ ગયું હતું. છતાં ઓખામંડળના અમુકવિસ્તાર તેને અધીન હતા.

એવામાં મુલ્લા મહમદ સમરકંદી દરિયાઈ પ્રવાસ ખેડીને સમરકંદ જઈ રહ્યા હતા, ત્યારે ચાંચિયાઓએ તેમનું જહાજ, સામાન અને મહિલાઓને લૂંટી લીધાં તથા બે નાનકડા છોકરા સાથે મુલ્લા સમરકંદીને ઉતારી મૂક્યા.

એ સમયે મહમદ બેગડા સિંધમાં હતા. ભારે મુશ્કેલીઓ વેઠીને મુલ્લા તથા તેમના બે દીકરા ત્યાં પહોંચ્યા અને પોતાની આપવીતી વર્ણવી. આ સાંભળીને બેગડાએ દ્વારકા વિસ્તારમાં ચઢાઈ કરવાનો નિર્ધાર કર્યો.

જ્યારે સુલતાનના આગમન વિશે સ્થાનિકોને માહિતી મળી, ત્યારે તેઓ શંખોદ્વારના કિલ્લામાં ભરાઈ ગયા. દ્વારકાનું સુરક્ષા કરનારું કોઈ ન હતું અને ત્યાંના મંદિરોમાં લૂંટ ચલાવવામાં આવી અને મૂર્તિઓ ખંડિત થઈ.

સુલતાને કિલ્લામાંથી રાજા ભીમરાજને પકડ્યા અને તેમને અમદાવાદ લઈ જવાયા. તેમના શરીરના કટકા કરીને અમદાવાદના અલગ-અલગ દરવાજા ઉપર લટકાવવામાં આવ્યા હોવાનું કૅપ્ટન વિલ્બરફૉર્સ-બેલ તેમના પુસ્તકમાં નોંધે છે.

'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'માં (ખંડ-5, સં. રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, 92-93) લખાયું છે કે મુલ્લા સમરકંદીનું જહાજ દખ્ખણથી સમરકંદ જઈ રહ્યું હતું, ત્યારે તેમનું વહાણ તોફાનને કારણે કિનારે તણાઈ આવ્યું હતું અને ચાંચિયાઓએ તેને લૂંટી લીધું. તે સમયે સુલતાન સિંધથી પરત ફરી રહ્યા હતા અને જૂનાગઢમાં હતા. જ્યાં મુલ્લા સમરકંદીએ સુલતાન સમક્ષ રજૂઆત કરી.

મહમદ બેગડાએ શંખોદ્વાર દ્વારકાના કિલ્લાને સર કર્યો અને સમરકંદીના પરિવારજનો તથા અન્ય કેદીઓને મુક્ત કરાવ્યા. ઈ.સ. 1473માં આ વિસ્તાર ઉપર શાસન કરવા માટે મલેક તુગાનની નિમણૂક કરી. દ્વારકાનું નામ 'મુસ્તફાનગર' રાખવામાં આવ્યું.

ફરી નિર્માણ, ફરી ખંડન
અહિલ્યાબાઈ હોલકરે દ્વારકા મંદિરના નિભાવની વ્યવસ્થા કરી હતી.

મધ્યકાલીન યુગમાં અકબરના સમયમાં ફરી એક વખત મંદિર નિર્માણ પામ્યું. એન.એ. આચાર્ય તેમના પુસ્તક 'ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ'માં (પેજ 85) લખે છે કે 'સલ્તનતકાળ દરમિયાન ગુજરાતમાં શૈવની સાથે વૈષ્ણવ સંપ્રદાય પણ પ્રચલિત હતો. દ્વારકા મહત્ત્વનું વૈષ્ણવ તીર્થ મનાતું. સલ્તનતકાળ દરમિયાન ધાર્મિક સંઘર્ષ ચાલતો હોવા છતાં વૈષ્ણવ સંપ્રદાય જીવંત રહ્યો હતો.'

હાલનું દ્વારકાધીશનું જગત મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. જે નગરનો સૌથી ઊંચાણવાળો વિસ્તાર છે અને થોડા અંતરે જ ગોમતી નદી સાગરને મળે છે.

એ જ પુસ્તકમાં આચાર્ય લખે છે, 'હાલનું મંદિર અકબરના સમયમાં બંધાયું હોવાનું મનાય છે અને તેની ઊભણી (પ્લિન્થ) 12મી સદી આસપાસની છે. આ મંદિરની મુખ્ય પ્રતિમા 12મી સદીમાં ડાકોર તથા 15મી સદીમાં માંગરોળમાં ખસેડાઈ હોવાની અનુશ્રુતિ છે. વલ્લભાચાર્યે લાડવા ગામેથી મેળવવામાં આવેલી દ્વારકાધીશની મૂર્તિને ઈ.સ. 1504માં અહીં પધરાવવામાં આવી હતી. ત્યાર પછી લગભગ એ જ સેવાક્રમ જળવાયેલો રહ્યો છે.'

મંદિરમાં પૂજા તથા યાત્રિકો પાસેથી મળતી આવક અંગે બ્રાહ્મણોના બે સમૂહમાં વિવાદ હતો, જેનું વલ્લભાચાર્યના પુત્રે સમાધાન કરાવ્યું હતું. તેમણે બેટ દ્વારકા ખાતે બેટ દ્વારકાના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.

કલ્યાણરાય જોશીએ 'દ્વારકા' નામથી પુસ્તક (પેજ 13-21) લખ્યું છે. જેમાં તેઓ ઔરંગઝેબના સમયમાં તેના પ્રતિનિધિ નૌરંગખાનના માણસોએ ખંડિત કર્યું હતું, જેની મરામત વૈષ્ણવભક્તોએ કરી હોવાનું નોંધે છે.

તેઓ લખે છે કે મંદિર ક્યારે તથા કોણે બાંધ્યું તેનો કોઈ શિલાલેખ નથી, પરંતુ બીજા માળના શિલાલેખોમાં તળાજા તથા વિસલનગરના સલાટોએ જીર્ણોદ્ધાર કર્યો હોવાનાં લખાણ છે. એક લેખમાં ઈ.સ. 1730માં જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થયું હોવાનું લખાણ છે.

અહિલ્યાબાઈ હોલકરે દેશનાં અન્ય મંદીરોની સાથે દ્વારકાના મંદિરને નિભાવખર્ચ મળી રહે તે માટે પણ વ્યવસ્થા કરી હતી.

'ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'માં (ખંડ-8, સં. રસિકલાલ પરીખ, હરિપ્રસાદ શાસ્ત્રી, પેજ 81-82) લખે છે: 'આમ તો દ્વારકા તથા ઓખામંડળના વાઘેરો તથા કંપની સરકાર વચ્ચે વર્ષ 1820થી સંઘર્ષ ચાલુ હતો. 1857માં દેશભરમાં ફાટી નીકળેલો જુવાળ ઓખા સુધી પહોંચ્યો હતો. જોધા માણેક તથા તેમના ભત્રીજા મૂળુએ આ ચળવળનું નેતૃત્વનું લીધું હતું.'

'તેમણે ઓખામંડળ વિસ્તારમાંથી ગાયકવાડ તથા અંગ્રેજ શાસનને નાબૂદ કરી દીધું. ઑક્ટોબર-1859માં કર્નલ ડોનોવાનના નેતૃત્વ હેઠળ બ્રિટિશ તથા ગાયકવાડી સેનાએ બેટ દ્વારકા ઉપર જમીન તથા દરિયાઈમાર્ગે આક્રમણ કર્યું. વિગ્રહકારોએ બેટનો કિલ્લો ખાલી કરી દીધો અને દ્વારકા જતા રહ્યા.'

'કર્નલ ડોનોવાનના આદેશ બાદ બેટ દ્વારકાના કિલ્લાને ધ્વસ્ત કરી દેવાયો. બેટનાં મંદિરોને તોડી પડાયાં અને લગભગ ચાર લાખ રૂપિયાનું ઝવેરાત લૂંટી લેવાયું. પછી સંયુક્ત સેનાએ દ્વારકા ઉપર હલ્લો કર્યો. ત્યાંથી પરાજિત થતાં વિગ્રહકારો ગીર તથા બરડાના જંગલમાં ઊતરી ગયા. ડોનોવાનના આદેશથી અંગ્રેજદળોએ દ્વારકામાં પણ મંદિરો તોડી પાડ્યાં અને ત્યાંનું ઝવેરાત લૂંટી લીધું.'

'આથી લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો. કચ્છના રાવ, જામનગરના જામ તથા પોરબંદરના રાણાએ કાઠિયાવાડના પૉલિટિકલ ઍજન્ટ સમક્ષ રજૂઆતો કરી અને વિરોધ કરતા પત્રો લખ્યા. કચ્છ-કાઠિયાવાડના વેપારી અગ્રણીઓએ પણ તેમની નારાજગી વ્યક્ત કરી.'

'22 સપ્ટેમ્બર, 1859ના મુંબઈ સરકારના સચિવે કચ્છના ઉપ-પોલિટિકલ ઍજન્ટને પત્ર લખી સરકાર વતી રાજાઓ તથા મહાજનો સમક્ષ દીલગીરી વ્યક્ત કરવા, મંદિરોને તાત્કાલિક ફરી બાંધવાં તથા ઝવેરાત પરત કરવા આદેશ આપ્યા.'

લગભગ 1867 સુધી અમુક વિપ્લવકારો લડતા રહ્યા, છેવટે જમીન પરત આપીને મોટા ભાગનાઓને મનાવી લેવામાં આવ્યા. ગાયકવાડ સરકાર દ્વારા મંદિરનો નિભાવ તથા વ્યવસ્થાપન થતાં રહ્યાં.

ડૉ. જયંતીલાલ ઠાકર નામના દ્વારકાના સ્થાનિક ઇતિહાસઉત્સાહીના અભ્યાસના આધારે પુણેની ડેક્કન કૉલેજના હસમુખ સાંકળિયા દ્વારા દ્વારકાધીશ મંદિરની પાસે એક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું હતું, જેમાં મંદિરના ખંડિત અવશેષ મળી આવ્યા હતા. જે સંભવતઃ અહીંના પ્રાચીન મંદિર અથવા તો પરિસરમાં આવેલાં અન્ય કોઈ મંદિરના હશે એવું સંશોધકોનું માનવું છે. (ઍક્સ્કેવૅશન ઍટ દ્વારકા, ઝેડ ડી. અંસારી, એમ. ડી. મૅટ, પેજ 8-40)

ઉપરોક્ત પુસ્તકમાં સાંકળિયા તામ્રપત્રો, અભિલેખો તથા પ્રાચીન સંદર્ભોના આધારે વર્તમાન દ્વારકાની આસપાસ જ પ્રાચીન સમયની દ્વારકા હોવાનું અનુમાન રજૂ કરે છે.

એ પછી એસ. આર. રાવ દ્વારા મંદિરથી થોડે દૂર દરિયામાં સંશોધનકાર્ય હાથ ધરવામાં આવ્યું. સંશોધકોને (મરીન આર્કિયૉલૉજી, એસ.આર. રાવ. પેજ 164-166) ઈસુ પૂર્વે 15મી સદીમાં માનવવસતીના પુરાવા મળ્યા છે.

હિંદુઓનું માનવું છે કે કૌરવો સામની લડાઈ દરમિયાન અર્જુનને યુદ્ધ માટે પ્રેરિત કરવા માટે કુરુક્ષેત્રના રણમેદાનમાં કૃષ્ણે તેમને ઉપદેશ આપ્યો હતો. જે 'શ્રીમદ્દ ભગવત્ ગીતા' તરીકે ઓળખાય છે. દરવર્ષે તેની જયંતી ઉજવવામાં આવે છે. ડિસેમ્બર-2023માં તેની પાંચ હજાર 160મી જયંતી ઉજવાઈ હતી.

જો તેને યથાભૂત તરીકે સ્વીકારવામાં આવે તો પણ મહાભારત કાળ તથા દ્વારકામાં વિજ્ઞાનીઓને મળેલાં પુરાવાની વચ્ચે લગભગ એક હજાર છસ્સો વર્ષનો તફાવત રહે.

સમુદ્રમાં ડૂબેલી નગરી શ્રી કૃષ્ણની દ્વારકા નથી? :- ઇસરો વૈજ્ઞાનિકના મતે ગુજરાતમાં બીજી પંદર દ્વારકા છે! દ્વારકાના દરિયામાં રહસ્યોનો ખજાનો!


જે વાંસળી પણ વગાડી જાણે અને આંગળીએ સુદર્શન ચક્ર પણ ફેરવી જાણે, જે રણમેદાન વચ્ચે જગતની પહેલવહેલી મોટિવેશનલ સ્પીચ આપી શકે એ મલ્ટિપર્સનાલિટીના ધણી શ્રીકૃષ્ણ 'ચરૈવેતિ ચરૈવેતિ'ની જેમ ફરતા રહ્યા છે. વિરાટ ફલક પર પથરાયેલા બહુવિધ રંગી શ્રીકૃષ્ણના જીવનની એક આગવી ઓળખ એટલે ગુજરાતની દ્વારકા નગરી. આજે જન્માષ્ટમીના કૃષ્ણમય માહોલમાં દ્વારકા નગરીને આર્કિયોલોજીનાં ચશ્માંથી જોવાની છે. ભારતનાં સાત પવિત્ર યાત્રાધામમાં એક દ્વારકા છે. ધાર્મિક રીતે જ નહીં, પણ દ્વારકાનું પુરાતત્ત્વની દૃષ્ટિએ પણ મહત્ત્વ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણની રાજધાની તરીકે દ્વારકાનું વર્ણન મળે છે. શ્રીકૃષ્ણના દેહાંત પછી દ્વારકા સમુદ્રનાં પાણીમાં ડૂબી ગઈ હોવાનું મનાય છે.

હાલ દ્વારકા આવેલું છે તેની આસપાસના વિસ્તારમાં ઉત્ખનન તથા દરિયામાં શોધખોળ કરાઈ હતી, જેથી પ્રાચીન દ્વારકાનું અસ્તિત્વ સાબિત કરી શકાય. દ્વારકાના સ્થાન અંગે ભિન્ન મતો પ્રવર્તે છે. દરિયામાં ડૂબેલી નગરી કે જે કૃષ્ણની દ્વારકા હોવાનો બહુ પ્રચલિત મત છે, એના ઉત્ખનનની રસપ્રદ વાતો જાણવા માટે ‘દિવ્ય ભાસ્કર’ એપે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાના એડિશનલ ડિરેકટર જનરલ ડૉ. આલોક ત્રિપાઠી કે જેમણે દ્વારકામાં સમુદ્રમાં ઉત્ખનન કરનારી ટીમ લીડ કરી હતી, તેમજ એક રસપ્રદ પુસ્તક લખ્યું હતું એમની સાથે ખાસ વાતચીત કરી. આ સિવાય દુર્ગમ વિસ્તારમાં ધરબાયેલાં પુરાતત્ત્વીય સ્થળોના શોધક ‘ઇસરો’ના નિવૃત્ત સાયન્ટિસ્ટ ડૉ. પી.એસ. ઠક્કર કે જેઓ જૂનાગઢના બરવાળા પાસે શ્રીકૃષ્ણની દ્વારકા હોવાની સંભાવના રજૂ કરે છે.

દ્વારકા: સાહિત્યનાં પન્ને
સૌથી પહેલાં આપણે મળીએ ડૉ. આલોક ત્રિપાઠીને. ડૉ. આલોક ત્રિપાઠી દેશના ટોચના પુરાતત્ત્વવિદોમાં સ્થાન પામે છે. જ્ઞાનવાપી મસ્જિદનો જે સર્વે થયો એ ટીમ પણ એમણે લીડ કરી હતી. તેઓ 1987માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા (ASI)માં આર્કિયોલોજિસ્ટ તરીકે જોડાયા હતા. એ જ વર્ષે ASIએ અંડર વોટર આર્કિયોલોજિકલ સર્વે કરવાનો નિર્ણય કર્યો હતો. આ માટે ડિપાર્ટમેન્ટને કેટલાક એવા આર્કિયોલોજિસ્ટની જરૂર હતી કે જેને મરીન આર્કિયોલોજીમાં રસ હોય. જે યંગ તરવરાટ વાળા હોય. વોટર એક્ટિવીટીનો થોડો ઘણો અનુભવ હોય. ડૉ. આલોક ત્રિપાઠી આ માપદંડોમાં ખરા ઉતર્યા અને એમની અંડરવોટર આર્કિયોલોજિસ્ટ તરીકે પસંદગી કરવામાં આવી. ASIના પહેલા અંડરવોટર આર્કિયોલોજિસ્ટ હોવાનું એમને સદભાગ્ય મળ્યું. એ સમયે દ્વારકામાં અંડરવોટર સર્વેનું કામ શરુ થયું હતું. દ્વારકામાં એમને તાલીમ આપવામાં આવી.

દ્વારકાના સાહિત્યમાં ઉલ્લેખ વાતથી શરુઆત કરતાં ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, '1902માં પહેલીવાર ફ્રેડરિક એડેન પાર્જીટરે માર્કંડેય પુરાણનું ટ્રાન્સલેશન કર્યું ત્યારે એમાં દ્વારકા નગરી વિશે વાત કરી હતી. 1922માં પણ એણે દ્વારકા અંગે લખ્યું. 1925માં એ.એસ. અલટેકરે લખ્યું. આ કારણે લોકોનું ધ્યાન દ્વારકા નગરી તરફ ખેંચાયું. 1943માં એ.ડી. પુસાલકરે દ્વારકા અંગે નિબંધ લખ્યો જેમાં એમણે તારણ આપ્યું કે મહાભારતમાં જેનો ઉલ્લેખ થયો છે એ જ ગુજરાતમાં આવેલી વર્તમાન દ્વારકા છે. આ કારણે લોકો એમ માનતા થયા કે મહાભારત સહિતનાં પ્રાચીન સાહિત્યમાં જેનો ઉલ્લેખ છે એ જ ગુજરાતની દ્વારકા છે. સાહિત્યનાં વર્ણનના આધારે વિદ્વાનોએ દ્વારકા અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો હતો.’

પહેલી વાર થયું ઉત્ખનન: આ ગુજરાતીનો હતો કી-રોલ
દ્વારકાના પુરાત્ત્વીય સ્થળની રીતે મહત્ત્વ અંગે 1960ના દાયકામાં આર્કિયોલોજિસ્ટનું ધ્યાન ખેંચાયું. ડૉ.આલોક ત્રિપાઠી કહે છે, '1950 પછીની વાત કરીએ તો 1960ના દાયકામાં પુરાતત્ત્વવિદ્યાને એક વેગ મળી રહ્યો હતો. એ સમયે સાહિત્ય અને પરંપરાને પ્રમાણોને આધારે સિદ્ધ કરવાના પ્રયાસોને વેગ મળી રહ્યો હતો. 1963માં પૂણેની ડેક્કન કોલેજના પ્રાધ્યાપક હસમુખ સાંકળિયા અને ગુજરાત આર્કિયોલોજિકલ સર્વે સાથે મળીને એક ઉત્ખનન કર્યું. દ્વારકા એક ગીચ વિસ્તાર છે. ત્યાં કોઇ એવી ખુલ્લી જગ્યા નથી કે જ્યાં ઉત્ખનન થઇ શકે. એ સમયે ત્યાં એક મકાનનું નિર્માણ થઇ રહ્યું હતું. ત્યાં ઉત્ખનન કરવામાં આવતાં 2000 વર્ષ જૂના અવશેષો મળી આવ્યા હતા. આ પહેલો એવો પ્રયાસ હતો કે મટિરિયલ એવિડન્સને આધારે આ સ્થળની પ્રાચીનતા વિશે જાણવાનો પ્રયાસ થયો હોય.'

2000 વર્ષ જૂની પોટરી, માટીનાં વાસણ મળી આવ્યાં
દ્વારકામાં બીજું ઉત્ખનન થયું વર્ષ 1979માં. ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, ‘દ્વારકા મંદિર એ ભારતની રાષ્ટ્રીય ધરોહર છે એટલે આ મંદિરની દેખભાળ ભારતીય પુરાતત્ત્વ ખાતું કરે છે. આ મંદિરની આસપાસ ઘણાં મકાનો બનેલાં હતાં. એક મકાનની નીચે નવમી સદીના કાર્યકાળમાં બનેલા એક મંદિરનો ભાગ મળ્યો હતો. ડૉ. એસ. આર. રાવે ઉત્ખન્ન કર્યું ત્યારે માટીનાં વાસણો મળી આવ્યાં હતાં. આ પોટરી ઇ.સ. પૂર્વેની બીજી સદી પહેલાંની હોવાનું તારણ નીકળ્યું હતું.

સમુદ્રમાં લીન થયેલી નગરીનો અંડરવોટર સર્વે
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ડૉ. એસ. આર. રાવ ભારતીય આર્કિયોલોજિકલ વિભાગમાંથી સેવા નિવૃત્ત થયા બાદ નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશનોગ્રાફી કે જે ગોવા ખાતે આવેલી છે, એ વિભાગે ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી અને CSIRએ મળીને દ્વારકા અંગે અંડરવોટર પ્રોજેક્ટ શરુ કર્યો. જેમાં ડૉ. આલોક ત્રિપાઠી જોડાઇ ગયા. તેઓ કહે છે, 'મેં પહેલી ડૂબકી દ્વારકામાં લગાવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં થયો હતો. 2001માં આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં અંડર વોટર આર્કિયોલોજિકલ વિંગની સ્થાપના થઇ હતી. 2005માં અમે લોકોએ દ્વારકામાં કાર્યનો પ્રારંભ કર્યો.'

જે સ્થળો દ્વારકા હોવાનું કહેવાય છે ત્યાં અભ્યાસ કર્યો.
આ ઉત્ખનન કાર્યની સમગ્ર પ્રોસેસ અંગે જાણકારી આપતાં ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, 'સૌથી પહેલાં તો અમે દ્વારકા પર જે સંશોધનાત્મક કામ થયું હતું એનો અભ્યાસ કર્યો. ગુજરાતમાં અન્ય જગ્યાએ પણ દ્વારકા હોવાનું કહેવાય છે. આ તમામ જગ્યાનો અમે અભ્યાસ કર્યો હતો. મૂળ દ્વારકા, પંચ દ્વારકા, માધવપુર, ગિરનારની પાસેની જગ્યા..આ તમામ સ્થળો કે જે કૃષ્ણ સાથે સંકળાયેલાં હતાં એ તમામ સ્થળો વિશે અભ્યાસ કર્યો. કચ્છમાં કેટલાંક સ્થળોનો અભ્યાસ કર્યો. આ પછી ત્યાંથી પ્રાપ્ત થયેલાં પ્રમાણો અને સાહિત્યમાં મળેલા એ સ્થળની પ્રાચીનતાના ઉલ્લેખોને ચકાસ્યા પછી આખરે અમે સમુદ્રમાં ડૂબેલી નગરી કે જે દ્વારકા કહેવાય છે એના પર સંશોધન કાર્ય શરુ કર્યું.’

સમુદ્રમાં હાઇડ્રોગ્રાફિકલ સર્વે
ડૉ. આલોક ત્રિપાઠી આગળ કહે છે, ‘વર્ષ 2006માં અમે ભારતીય નેવી સાથે મળીને દ્વારકા પાસે જે સમુદ્ર છે એમાં તપાસનો પ્રારંભ કર્યો. એ સમુદ્રમાં હાઇડ્રોગ્રાફિકલ સર્વે કર્યો. બે નોટિકલ માઇલ (3.7 કિમી) લંબાઇ અને એક નોટિકલ માઇલ (1.9 કિમી) વિસ્તારમાં સાઇડ સ્કેન સોનાર અને મલ્ટિબીમ સોનાર ટેક્નિકથી સમુદ્રના તળિયાનો સર્વે કર્યો અને એના આધારે સમુદ્રની ધરાતલનો થ્રીડી મોડેલ તૈયાર કર્યું કે જેનાથી વિશેષ અભ્યાસ મળે. (સોનાર ટેક્નોલોજી સામુદ્રિક ખડકો, ડૂબેલાં વહાણો, પ્રાચીન અવશેષો વગેરેનાં સ્થાન અંગે જાણવા માટે થાય છે. આ પદ્ધતિમાં અલ્ટ્રાસોનિક ધ્વનિતરંગોને ટ્રાન્સમીટર વડે સમુદ્રના તળિયે મોકલવામાં આવે છે. આ ધ્વનિતરંગો જેટલા સમયમાં પાછા ફરે છે, એ સમયના માપ ઉપરથી સમુદ્રની ઊંડાઈ જાણી શકાય છે અને આ અલ્ટ્રાસોનિક ધ્વનિતંરગો પરથી સમુદ્રમાં પડેલી વસ્તુ કેટલી મોટી છે એનો પણ અંદાજ મેળવી શકાય છે.) સાહિત્યમાં વર્ણન છે એ પ્રમાણે જ્યાં ગોમતી સમુદ્રને મળે છે ત્યાં દ્વારકા નગરી હતી. ગોમતી જ્યાં સમુદ્રમાં મળે છે એની ઉત્તર અને દક્ષિણમાં અમે બંને ભાગોમાં સર્વે કર્યો અને પછી અમે અંડરવોટર ઇન્વેસ્ટિગેશન અને ઉત્ખનનની વર્ષ 2007માં શરૂઆત કરી.’

ભારતીય નેવીનાં અત્યાધુનિક સાધનોથી થયો ફાયદો
સમુદ્રમાં ઉત્ખનન માટે ભારતીય નેવીનો સપોર્ટ ખૂબ મહત્ત્વનો હોય છે. ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, 'અમે લોકો ભારતીય નેવીના સહયોગથી કામ કરતા આવ્યા છીએ. હિન્દ મહાસાગરમાં ભારતીય નૌસેના પાસે સૌથી આધુનિક સુવિધાઓ-ઉપકરણો યુક્ત જહાજ છે. નેવી પાસે સર્વે માટે અલગ પ્રકારનાં જહાજ છે. ડાઇવિંગ માટે અલગ જહાજ છે. નેવીની અત્યાધુનિક ટેક્નોલોજીનો અમે સર્વે માટે ઉપયોગ કર્યો હતો. આ જહાજની પાસે સર્વેની સૌથી અત્યાધુનિક ઉપકરણો હતાં. સૌથી સારી સર્વે બોટ્સ છે જે સોનાર સિસ્ટમથી સજ્જ છે. સમુદ્રની તળિયે પડેલી વસ્તુઓને લોકેટ કરી શકતાં હતાં અને એ વસ્તુનું મેપિંગ કરી શકતા હતા. આ કારણે અમારું કામ વધુ વ્યવસ્થિત અને સાયન્ટિફિક રહ્યું.'

સમુદ્રના પેટાળમાંથી શું મળી આવ્યું?
‘સમુદ્રમાં કામ કરતી વખતે સમયની એક સીમા હોય છે. કોઇ પણ ડાઇવર સમુદ્રમાં ત્રણ કલાક સુધી કામ કરી શકે છે. આ માટે સમુદ્રમાં અમે 200 બાય 200 મીટરનો એક એરિયા સર્વે માટે પસંદ કર્યો. અમને લોકોને 50 બાય 50 મીટરમાં સૌથી વધારે અવશેષો મળી આવ્યા. આ અવશેષો પ્રાચીન ભવનોના હતા. પથ્થરોના બ્લોક કાપીને કલાકૃતિઓ બનાવવામાં આવી હતી’, ડૉ. આલોક ત્રિપાઠી કહે છે.

દ્વારકા ક્યારે સમુદ્રમાં લીન થઇ હતી?
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ‘અમને જે અવશેષો મળ્યા એ પથ્થરોના હતા. પુરાતત્ત્વવિદ્યામાં કાર્બન ડેટિંગ કરવામાં આવે છે, જેના માટે ઓર્ગેનિક મટિરિયલની જરૂર પડે છે. પણ સમુદ્રમાંથી મળેલા અવશેષો ઇનઓર્ગેનિક હતા. આ અવશેષો સમુદ્રના તળિયે વિખરાયેલા પડ્યા હતા. અમે સમુદ્રના જે સીમિત વિસ્તારમાં કામ કર્યું એ વિસ્તારમાં કોઇ ઓર્ગેનિક મટિરીયલ ન મળ્યું કે જેના કારણે વૈજ્ઞાનિક રીતે એ જાણી શકાયું નથી શકાયું કે દ્વારકા ક્યારે સમુદ્રમાં લીન થઇ હશે.’

વર્તમાન દ્વારકા સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન
‘દ્વારકા તરીકે ઘણાં સ્થાનોની ઓળખ થઇ છે, પણ આ બધામાં જે વર્તમાન દ્વારકા છે એ સૌથી મહત્ત્વપૂર્ણ સ્થાન છે. ધાર્મિક રીતે આપણને ખ્યાલ છે કે એ ચાર ધામમાંથી એક છે. શંકારાચાર્યે અહીં પીઠની સ્થાપના કરી છે. માધવાચાર્ય અહીં આવ્યા છે. એ ક્ષેત્રમાં જે અવશેષો મળ્યા એમાં ગુપ્તોત્તર કાળની વિષ્ણુની પ્રાચીન પ્રતિમા પણ મળી આવી છે. એ નિર્વિવાદિત વાત છે કે લગભગ છઠ્ઠી શતાબ્દિ સુધી આ સ્થળ વૈષ્ણવ ધર્મનું એક કેન્દ્ર બની ચૂક્યું હતું. ઉત્ખનનમાં જે અવશેષો મળ્યા એના પરથી જાણવા મળ્યું કે ઐતિહાસિક રીતે ત્યાં સતત નિર્માણ કાર્ય થતું રહ્યું. ત્યાંથી પ્રાચીન મંદિરોના અવશેષો પણ મળ્યા છે. અત્યારે જે પ્રમાણ છે એના આધારે એમ કહી શકાય કે ગુપ્તકાળ કે જે પુરાણોનો કાળ માનવામાં આવે છે એ સમયથી દ્વારકાને કૃષ્ણનું સ્થાન અથવા વિષ્ણુ સાથે સંલગ્ન માનવામાં આવે છે’, ડૉ. આલોક ત્રિપાઠી કહે છે.

સમુદ્રમાં લીન એ નગરી કે જે દ્વારકા કહેવાય છે એના ડૂબવાનું કોઇ કારણ?
ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, ‘આર્કિયોલોજિસ્ટ આધારભૂત પ્રમાણોને આધારે પોતાનો મત રાખે છે. જ્યાં સુધી દ્વારકાની જળમગ્ન થવાની વાત છે ત્યાં સુધી એની પાછળનાં ઘણાં કારણો જવાબદાર હોઇ શકે છે. જ્યાં સુધી એક સંપૂર્ણ અભ્યાસ ન થાય ત્યાં સુધી કોઇ એક ચોક્કસ કારણ કહેવું પ્રમાણિત અને વૈજ્ઞાનિક નહીં હોય. ઘણાં એવાં પરિબળો છે કે જેના કારણે સમુદ્રના તળમાં ફેરફાર આવે છે. સમુદ્રનું સ્તર વધવાથી, જમીનનું સ્તર નીચે જવાથી, ટેક્ટોનિક મુવમેન્ટ... જેવી ઘટનાઓ કોસ્ટલ સેટલમેન્ટને અસર કરે છે. જ્યાં સુધી આ દિશામાં વૈજ્ઞાનિક રીતે અભ્યાસ ન થાય ત્યાં સુધી કોઇ મત રાખવો ઉચિત નહીં ગણાય.’

દ્વારકામાં હજુ ઉત્ખનનની જરૂર છે.
દ્વારકામાં જે ઉત્ખનન થયું છે એ બહુ સીમિત ક્ષેત્રમાં અને એક જ સ્થાન પર થયું છે. જ્યાં સુધી દ્વારકામાં વ્યવસ્થિત રીતે ઉત્ખનન નહીં થાય ત્યાં સુધી એના સ્વરૂપ અંગે બહુ સ્પષ્ટ જાણકારી નહીં મળે અને વિના આધારભૂત રીતે કશું કહેવું પણ અયોગ્ય રહેશે. અત્યારે અમે જે નિષ્કર્ષ કાઢીએ છીએ એ સીમિત પ્રમાણોને આધારે કાઢીએ છીએ જે અત્યાર સુધી મળ્યાં છે, પણ ડો. સાંકળિયાએ લખ્યું છે એ પ્રમાણે હજુ આગળ જવાની જરૂરિયાત છે. આ જરૂરિયાત હજુ પણ એમ ને એમ ઊભી છે. દ્વારકામાં હજુ વ્યવસ્થિત ઉત્ખનનની, વ્યવસ્થિત અભ્યાસની જરૂર છે. એક વ્યવસ્થિત એનાલિસિસ અને ઇન્ટરપ્રિટેશનની જરૂરિયાત છે. દ્વારકાનો ઐતિહાસિક ઘટનાઓ સાથે જે સંબંધ છે, એની પ્રાચીનતા અંગે અમે વધુ પ્રમાણિત રીતે જાણી શકીશું. આર્કિયોલોજીમાં સર્વેનો ક્યારેય એન્ડ નથી હોતો. કોઇ એક ક્ષેત્રમાં થયેલા ભૂતકાળના સર્વેમાં એવાં પરિણામો મળી શકે છે કે જેની કોઇએ કલ્પના પણ ન કરી હોય.’

જમીન પરના ઉત્ખનનથી નથી મળ્યું એ દરિયાઇ ઉત્ખનનથી જાણવા મળશે!
દરિયાઇ ઉત્ખનનના મહત્ત્વ વિશે પૂછવામાં આવતા ડૉ. આલોક ત્રિપાઠી કહે છે, 'આપણો સમુદ્રી વિસ્તાર ખૂબ સમૃદ્ધ છે. સમુદ્રમાં ગરકાવ પ્રાચીન અવશેષો ઇતિહાસનાં એ પડળોને ખોલી શકે છે કે જે આપણે જમીન પર આજ સુધી સર્વે કરીને નથી જાણી શક્યા. એ દુર્ભાગ્ય ગણો કે સૌભાગ્ય, પણ આપણે ત્યાં ડાઇવિંગ હજુ પોપ્યુલર થયું નથી. એનો હકારાત્મક ફાયદો એ છે કે સમુદ્રના અવશેષો હજુ અનડિસ્ટર્બ છે. આપણી પ્રાચીનતમ સભ્યતાનાં પ્રમાણ જળક્ષેત્રોમાં મળવાની પૂરી સંભાવના છે. આપણી સિંધુ સંસ્કૃતિમાં જહાજો દ્વારા સમુદ્રી માર્ગે વેપાર થતો રહ્યો છે. સંભાવના છે કે સમુદ્રના તળિયે ઉત્ખનન કરતા આપણી પ્રાચીન સભ્યતા અંગે નવાં તથ્યો ઉજાગર કરશે.'

હવે આપણે મળીએ ડૉ. પી. એસ. ઠક્કરને. તેઓ દ્વારકા જૂનાગઢ પાસે બરવાળા ગામે અસ્તિત્ત્વ ધરાવતી હોવાનો મત ધરાવે છે.

આટઆટલી જગ્યા કૃષ્ણની દ્વારકા કહેવાય છે!
ડૉ. પી.એસ. ઠક્કરે હેમચંદ્રાચાર્યના ગ્રંથ ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’ના વર્ણન પરથી તથા ઉપગ્રહોની તસવીરોના અભ્યાસની મદદથી જૂનાગઢ પાસેનું એક સ્થળ શોધી કાઢ્યું છે. જે શ્રી કૃષ્ણની દ્વારકા હોવાની નક્કર સંભાવના ડૉ. પી.એસ. ઠક્કર રજૂ કરે છે. ડૉ. પી.એસ. ઠક્કર કહે છે, ‘આજે ગુજરાતમાં પંદર જેટલાં સ્થળો એવાં છે કે જે શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર છે. શ્રીકૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં અન્ય દાવેદાર સ્થળોમાં જૂનાગઢ જિલ્લાનું કોડીનાર પાસે આવેલું મૂળ દ્વારકા, જૂનાગઢ જિલ્લાનું જીર્ણ દૂર્ગ - જૂનાગઢ, ગીર સોમનાથ જિલ્લાનું સોમનાથ અથવા પ્રભાસ પાટણ, પોરબંદર જિલ્લામાં આવેલું માધવપુર અને વિસાવાડા એમ બે સ્થળો, સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું મૂળી, રાજકોટ જિલ્લામાં વાંકાનેર પાસે આવેલું પંચ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાનું બેટ દ્વારકા, કચ્છ જિલ્લામાં રણમાં દટાઈ ગયેલું સ્થળ મરુડા ટક્કર, કચ્છ જિલ્લામાં આવેલું પુરાતત્ત્વીય નગર ધોળાવીરા, કચ્છ જિલ્લામાં નારાયણ સરોવર - કોટેશ્વરથી પશ્ચિમ દિશામાં સમુદ્રમાં આવેલ કાનાજી કો ડેરો. આમ ગુજરાતમાં આ અગિયાર સ્થળો ઉપરાંત ઉત્તરાખંડમાં આવેલું શ્રીનગર અને બ્રહ્મદેશ-મ્યાનમારમાં ઈરાવતી નદીના કાંઠે આવેલ શ્રી સ્થળો આ ઉપરાંત પાકિસ્તાનના સિંધ પ્રદેશમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ મોહેં જો ડેરોને પણ કેટલાક અભ્યાસુઓ ‘મોહન જો ડેરો’ તરીકે ઓળખાવે છે. આમ આ બધાં સ્થળો પણ શ્રી કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર છે. આમ કુલ ચૌદ જેટલાં સ્થળો આજની દ્વારકા ઉપરાંત કૃષ્ણની મૂળ દ્વારકા હોવાનાં દાવેદાર સ્થળો છે.’

‘સાહિત્ય અને આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું નથી’
સાહિત્ય અને આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું નથી એવો દાવો કરતાં પી. એસ. ઠક્કર કહે છે, ‘શ્રી કૃષ્ણની દ્વારકાનું જો આપણે શાસ્ત્રોમાં વર્ણન વાંચીએ તો આપણે જોઈ શકીએ છીએ કે દ્વારકાની આજુબાજુના વિસ્તારમાં વન - જંગલો, પર્વતો, નદીઓ, બાગ-બગીચા કે જેમાં વિવિધ રંગબેરંગી ફૂલ ઊગતાં હતાં તેવું વર્ણન વાંચવા મળે છે. આજના દ્વારકામાં આવા પર્વતો, નદીઓ, કે જંગલો કે વિવિધ રંગબેરંગી ફૂલોથી સુશોભિત બાગબગીચા જોવા મળતાં નથી. આમ સાહિત્યમાં જોવા મળતાં વર્ણન સાથે આજના દ્વારકાનું સ્થાન બંધબેસતું આવતું નથી.’

હરિવંશ પુરાણમાં દ્વારકા
ડૉ. પી. એસ. ઠક્કર ‘હરિવંશ પુરાણ’નું ઉદાહરણ આપતાં કહે છે, 'હરિવંશ પુરાણ માં લખ્યું છે કે દ્વારકા પ્રભાસ ક્ષેત્રમાં હતું. દ્વારકાની પૂર્વમાં તુલસીશ્યામ, પશ્ચિમમાં માધવપુર, ઉત્તરમાં ગોમતી નદી (ભાદર?), તથા દક્ષિણમાં તે સમુદ્રથી ઘેરાયેલું હતું. સાહિત્યમાંથી એવું પણ જાણવા મળે છે કે જ્યારે પાંડવો પ્રભાસથી પરત ફર્યા ત્યારે તેઓ રાત્રે રૈવતક પર્વત પર રોકાયા હતા અને બીજા દિવસે સવારે દ્વારકા પહોંચ્યા હતા. આ વર્ણન દર્શાવે છે કે દ્વારકા રૈવતક - ગિરનાર પર્વતની નજીકમાં હતું. આજના દ્વારકા સાથે આ વર્ણન કોઈ રીતે બંધબેસતું નથી.'

હેમચંદ્રાચાર્યના ગ્રંથમાં દ્વારકાનો ઉલ્લેખ
ડૉ. પી.એસ. ઠક્કર હેમચંદ્રાચાર્ય રચિત ગ્રંથનું ઉદાહરણ પણ ટાંકે છે, 'સાહિત્યમાં જુદા જુદા સમય માં બે અલગ દ્વારકા અસ્તિત્વમાં હોવાનું જાણવા મળે છે. એક દ્વારકા વાસુદેવની દ્વારકા હતી. ‘શત્રુંજય માહાત્મ્ય’માં દ્વારકાનું વર્ણન આપ્યું છે, પણ તેનું ભૌગોલિક સ્થાન દર્શાવ્યું નથી. હેમચંદ્રાચાર્ય રચિત ‘ત્રિષષ્ઠી શલાકા પુરુષ ચરિત્ર’માં શ્રી કૃષ્ણની દ્વારકાના ભૌગોલિક સ્થળ અંગે આપણને વર્ણન જોવા મળે છે. આ ગ્રંથ પ્રમાણે નગર બાર યોજન લાંબું હતું અને પહોળાઈમાં નવ યોજન હતું. એક યોજન એટલે આઠ કિલોમીટર અંતર થાય. નગરની ચારે બાજુ અઢાર હાથ જેટલી ઊંચી દીવાલ જમીન પર હતી અને નવ હાથ જેટલી દીવાલ જમીનમાં હતી. દીવાલની પહોળાઈ બાર હાથ જેટલી હતી. એક હાથ એટલે દોઢ ફૂટ જેટલું માપ થાય. શ્રી કૃષ્ણનું આ નગર ઇન્દ્રની સૂચના મુજબ કુબેરે વાસુદેવની પ્રાચીન નગરી કુશ સ્થળીના સ્થાન પર બનાવ્યું હતું. જે નગર સમુદ્રમાં ડૂબી ગયું હતું. નગરની બહારની દીવાલની ચારે બાજુ પાણીથી ભરેલી એક ખાઈ હતી, જે નગરના રક્ષણ માટે બનાવવામાં આવી હતી. આ નગરમાં એક માળથી શરુ કરી બહુમાળી મકાનો હતાં. આ મકાનો જુદી જુદી દિશામાં બાંધવામાં આવ્યાં હતાં. આ નગરની પૂર્વમાં રૈવતગિરિ અને દક્ષિણમાં માલ્યવાન શૈલ - શિખર હતું. પશ્ચિમમાં સૌમનસ પર્વત અને ઉત્તરમાં ગંધમાદન ગિરિ- પર્વત હતો.'

જૂનાગઢ પાસેનું બરવાળા એ જ દ્વારકા?
હેમચંદ્રાચાર્યે જણાવેલા વર્ણન પ્રમાણે ડૉ. પી. એસ. ઠક્કરે જૂનાગઢની પાસે બરવાળા આગળ ઉપગ્રહની મદદથી અભ્યાસ કર્યો. ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, 'જ્યારે ઉપગ્રહની તસવીરોનો અભ્યાસ કર્યો, તો આ સ્થળ પુરાતત્ત્વીય સ્થળ હોય તેવું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું, જેનો આકાર લંબચોરસ હતો. ચારે ખૂણા પર ચાર જુદાં જુદાં ગામ આવેલાં છે. નૈઋત્ય દિશામાં સાંતલપુર પાસે ઝામ્પોદર, અગ્નિ દિશામાં નરેડી, ઈશાન દિશામાં તલિયાધાર અને રૂપાવટી વાયવ્ય દિશામાં જોઈ શકાય છે.

આ લંબચોરસ આકારની અંદરની બાજુએ એક બીજું ચોરસ જોઈ શકાય છે, જેની અગ્નિ દિશામાં બાલોટ છે. બંટીયા નૈઋત્યમાં છે, રાવણી વાયવ્યમાં છે, અને ધંધુસર ઈશાન દિશામાં છે. આ ચોરસની અંદર પણ બીજું એક નાનું ચોરસ જોઈ શકાય છે, જે બરવાળા ગામ છે. આ ગામ કદાચ શ્રી કૃષ્ણનો મહેલ અથવા કિલ્લા કે ગઢનું સ્થાન હોઈ શકે. ઉપગ્રહની તસવીરમાં સીધી રેખાઓ અને વાંકીચૂંકી રેખાથી બનતા આકાર હોઈ શકાય છે. સહુથી બહાર લંબચોરસ, અંદર લંબચોરસ, સહુથી અંદર ચોરસ અને ત્રિકોણાકાર જોઈ શકાય છે. જેની આસપાસ વનરાજી જોવા મળે છે.

જો સાહિત્યમાં જોવા મળતાં વર્ણન સાથે આ સ્થળની સરખામણી કરીએ તો પૂર્વમાં રૈવતક પર્વત એ આજનો ગિરનાર પર્વત ગણાવી શકાય. માલ્યવાન શૈલ એ જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલ જુથળ ગામ પાસે આવેલી 63 મીટર ઊંચી ટેકરી - શિખર ગણાવી શકાય. પશ્ચિમમાં આવેલ સૌમનસ પર્વત એ આજનો બરડો ડુંગર ગણાવી શકાય અને ગંધમાદન ગિરિ એ ઉત્તરમાં આવેલ ઓસમના ડુંગરને ગણાવી શકાય.’

જૂનાગઢ જિલ્લાનું બરવાળા ગામ શ્રીકૃષ્ણની દ્વારકા હોવાની સંભાવના આ સેટેલાઇટ તસવીર દ્વારા ડૉ. પી. એસ. ઠક્કરે વ્યક્ત કરી છે.

ગિરનારની બાજુમા સમુદ્ર
ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, 'મૌર્ય અને ગુપ્તકાળ દરમ્યાન આશરે આઠસો વર્ષો સુધી સુદર્શન તળાવનું રખરખાવનું કાર્ય મૌર્ય અને ગુપ્ત વંશના રાજાઓએ કર્યું હતું. અશોકે ગિરનાર પર શિલાલેખ કોતરાવ્યો એ દર્શાવે છે કે આ વિસ્તારમાં કોઈ અતિ મહત્ત્વનું નગર અસ્તિત્વમાં હશે. બાજુમાં આવેલ નાવડા ગામ દર્શાવે છે કે બાજુમાં સમુદ્ર આવેલો હશે. ગિરનારની આસપાસ મિલીઓલાઈટ ચૂનાના પથ્થરો મળે છે તે પણ દર્શાવે છે કે ગિરનારની બાજુમાં જ સમુદ્ર આવેલો હશે.'

બરવાળા ગામેથી મળી આવેલી વસ્તુઓ
બરવાળા ગામમાંથી પ્રાચીનકાળની પોટરી, હાડકાં, પથ્થરની દીવાલ, જેવી નિશાનીઓ પણ મળી આવી હતી. અહીં દક્ષિણમાં આવેલી ખાઈને સ્થાનિક લોકો ઢંઢ કહે છે. જે ખાઈ ઉત્તરથી દક્ષિણ દિશામાં છે તેને લોકો વોંકળો તરીકે ઓળખે છે. લંબચોરસનો આ વિસ્તાર આશરે પંદર કિલોમીટર લંબાઈમાં છે તથા બાર કિલોમીટર જેટલો પહોળાઈમાં છે. ડૉ. પી. એસ. ઠક્કર કહે છે, આ સ્થળે ઉત્ખનન કરવાની જરૂર છે. ડૉ. હસમુખ સાંકળીયાના મતે આજની દ્વારકાનો સમય ગાળો ચોથી સદી પહેલાં નથી જતો. કૃષ્ણની દ્વારકા ઐતિહાસિક કાળની તો નથી જ. એ પાંચ હજાર વર્ષ જૂની છે.’

ઇસરોના અધ્યક્ષ અને અન્ય વૈજ્ઞાનિકોએ લીધી નોંધ
બૅંગલોરમાં ઇસરોના અધ્યક્ષ ડૉ. કે. કસ્તુરીરંગને એક બેઠક બોલાવી હતી જેમાં ઇતિહાસકારો, વિદ્વાનો, ધર્મવેત્તા, પુરાતત્ત્વવિદો અને વૈજ્ઞાનિકો હાજર હતા. જેમાં ડૉ. પી. એસ. ઠક્કરના રિપોર્ટની મહત્ત્વની નોંધ લેવામાં આવી હતી. 2015માં આચાર્ય શ્રી વિજય વિજ્ઞાન સૂરિ એવોર્ડ 2015માં મુંબઈમાં બોરિવલી ખાતે આપવામાં આવ્યો હતો.

જો જૂનાગઢનું બરવાળા ગામ શ્રી કૃષ્ણની દ્વારકા છે તો પછી અરબી સમુદ્રમાં ડૂબી ગયેલી નગરી કઇ?
ડૉ. એસ. આર. રાવ જે સમુદ્રમાં ડૂબી ગયેલી પ્રાચીન દ્વારકાના શોધક ગણાય છે, એમના મત અનુસંધાને પૂછવામાં આવતાં ડૉ. પી. એસ. ઠક્કર એક ચોંકાવનારો દાવો કરતાં કહે છે, ‘એસ. આર. રાવે સમુદ્રમાં જે નગરી શોધી એ શ્રી કૃષ્ણની દ્વારકા હશે એવું હું નથી માનતો. મારે ડૉ. એસ.આર. રાવને રૂબરૂ મળવાનું થયું હતું. દ્વારકાની ચર્ચા દરમ્યાન મેં તેમને ડૉ. સાંકળિયાના મત વિષે જણાવ્યું હતું. અને ગુજરાતમાં અન્ય દ્વારકાનાં સ્થળોની વાત કરી હતી. ઉપરાંત મારા આ નવા સ્થળ અંગે ચર્ચા કરી હતી. ત્યારે તેમણે મને નિખાલસપણે જણાવ્યું હતું કે લોકોને પુરાતત્ત્વમાં રસ લેતા કરવા માટે તેમણે દ્વારકાને શ્રી કૃષ્ણની દ્વારકા કહી હતી. ત્યારે મેં તે સમયે તેમને વિનંતી કરી હતી કે હવે તો સાચું કહો, તો તે અંગે તેમણે પોતાની અસમર્થતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે તેમના માટે તે સારું ન કહેવાય!’

'ગિરનારના ક્ષેત્રમાં સર્વે કરવાની જરૂર છે'
ડૉ. આલોક ત્રિપાઠીને ડૉ. પી. એસ. ઠક્કરના મત અંગે પૂછવામાં આવતાં તેઓ કહે છે, ગિરનાર ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ સ્થાન છે. સેટેલાઇટ ઇમેજમાં તમે જોશો તો જણાશે કે ગુજરાતનું ચિત્ર ગરુડ જેવું દેખાશે જેમાં ગિરનાર ગરુડની આંખ જેવો લાગે છે. ગિરનારનો ઇતિહાસ જોઇએ તો સમ્રાટ અશોકે અહીં શિલાલેખ કોતરાવ્યો છે. અહીં સુદર્શન તળાવ હતું. મૌર્યકાળથી ગિરનારનું મહત્ત્વ રહ્યું છે. સાહિત્યમાં જોઇએ તો દ્વારકાનું ભિન્ન ભિન્ન વર્ણન મળે છે. મહાભારતમાં વર્ણન મળે છે કે દ્વારકા રૈવતક પર્વત પાસે આવેલી હતી. મહાભારતમાં પાછું એવું પણ વર્ણન છે કે દ્વારકા સમુદ્ર પાસે આવેલી હતી. અન્ય વર્ણનમાં જોઇએ તો હરિવંશ પુરાણમાં દ્વારકા જળમગ્ન થઇ હોવાની નોંધ છે. પુરાણોમાં, મહાભારતમાં દ્વારકાની સ્થિતિ અંગે વર્ણન મળે છે. આ પુરાણોના લેખકો અને સમય અલગ અલગ રહ્યા છે એટલે ભિન્નતા મળવી સ્વભાવિક છે. ગિરનારની આસપાસનું ક્ષેત્ર પણ ઐતિહાસિક અને ધાર્મિક રીતે મહત્ત્વપૂર્ણ છે. મહાભારત અને શ્રી કૃષ્ણ સાથે પણ એનો સંબંધ રહ્યો હશે એની નક્કર સંભાવના છે. આ ક્ષેત્રમાં સર્વે કરવાની જરૂર છે.’

ગોકુળમાં બાળલીલા તો મથુરામાં કર્યું રાજ,દ્વારકામાં આવી વસ્યો રાધાનો શ્યામ:દેશભરમાં રાજા રણછોડના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા છે, જે જગ્યાઓનો સીધો સંબંધ શ્રીહરિ સાથે જોડાયેલો છે.


આજે જન્માષ્ટમી ઊજવવામાં આવી રહી છે. દેશભરમાં અનેક એવી જગ્યા છે, જ્યાં શ્રીકૃષ્ણના પ્રાચીન અને પ્રસિદ્ધ મંદિર આવેલાં છે. આ જગ્યાએ મથુરા, વૃંદાવન, ગોકુળ, દ્વારકા, ઉજ્જૈન વગેરે સામેલ છે. આ જગ્યાનો સીધો સંબંધ શ્રીકૃષ્ણ સાથે છે. અહીં જાણો શ્રીકૃષ્ણના મંદિરો માટે પ્રસિદ્ધ આ જગ્યાઓ વિશે....

મથુરા :-
ઉત્તર પ્રદેશ સ્થિત મથુરા નગરીને શ્રીકૃષ્ણની જન્મભૂમિ તરીકે ઊજવવામાં આવે છે. અહીં મુખ્ય મંદિર શ્રીકૃષ્ણ જન્મભૂમિ જ છે. આ સિવાય યમુના તટ અને દ્વારકાધીશ મંદિર પણ ભક્તોની વચ્ચે ખૂબ જ પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીએ લાખો ભક્ત મથુરા પહોંચે છે.

વૃંદાવન :-
મથુરાથી લગભગ 10 કિમી દૂર વૃંદાવન આવેલું છે. આ ક્ષેત્રનો સંબંધ શ્રીકૃષ્ણના બાળપણ સાથે છે. પ્રાચીન સમયમાં અહીં વૃંદા એટલે તુલસીનું વન હતું, એટલે આ જગ્યાને વૃંદાવન કહેવામાં આવે છે. આજે પણ વૃંદાવનના નિધિવનમાં તુલસીના છોડ જોડમાં જોવા મળી શકે છે. માન્યતા છે કે નિધિવનમાં આજે પણ શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે રાસ રમે છે. વૃંદાવનનું શ્રી બાંકે બિહારી મંદિર પણ વિશ્વ પ્રસિદ્ધ છે. જન્માષ્ટમીએ વૃંદાવન અને બાંકે બિહારી મંદિરમાં ભક્તોની ભીડ ખૂબ વધારે રહે છે.

ગોકુળ
મથુરાથી ગોકુળનું અંતર લગભગ 10 કિમી છે અને વૃંદાવનથી લગભગ 25 કિમી દૂર છે. ગોકુળમાં શ્રીકૃષ્ણના બાળપણનો મોટાભાગનો સમય પસાર થયો. અહીં સ્થિત નંદમહેલ પ્રત્યે ભક્તોની ઊંડી આસ્થા છે. અહીં પાસે રમણરેતી છે. કહેવાય છે કે શ્રીકૃષ્ણ અહીં રમતા હતાં.

ગોવર્ધન પર્વત
મથુરાથી ગોવર્ધન પર્વતનું અંતર લગભગ 30 કિમી છે. આ જગ્યા શ્રીકૃષ્ણ અને દેવરાજ ઇન્દ્રને સંબંધિત છે. માન્યતા છે કે આ જગ્યાએ શ્રીકૃષ્ણએ ગોવર્ધન પર્વતને પોતાની નાની આંગણીમાં ઉપાડી લીધો હતો અને દેવરાજ ઇન્દ્રના કોપથી થઈ રહેલાં વરસાદથી ક્ષેત્રના લોકોને બચાવ્યાં હતાં. ગોવર્ધન પર્વતની પરિક્રમા કરવાની પરંપરા આજે પણ પ્રચલિત છે.

બરસાના અને નંદગામ
આ બંને ગામ મથુરાથી લગભગ 50-55 કિમી દૂર સ્થિત છે. બરસાનાનો સંબંધ રાધાજી સાથે છે અને નંદગામમાં શ્રીકૃષ્ણનું બાળપણ વિત્યું હતું. આ બંને ગામની વચ્ચેનું અંતર લગભગ 11 કિમી છે. બરસાનાની લઠ્ઠમાર હોળી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. માન્યતા છે કે ગોકુળ મથુરાની ખૂબ જ નજીક હોવાથી કંસ સતત શ્રીકૃષ્ણને મારવાની કોશિશ કરી રહ્યા હતાં, તે સમયે કંસથી બચાવવા માટે નંદબાબાએ મથુરાથી દૂર નંદગામ વસાવ્યું હતું.

દ્વારકા
ગુજરાતના સમુદ્ર કિનારે દ્વારકા આવેલું છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણએ આ નગરી વસાવી હતી. આ જગ્યા દેશના મુખ્ય ચાર ધામમાંથી એક છે. અહીં શ્રીકૃષ્ણએ રાજ કર્યું હતું. શ્રીકૃષ્ણના દુશ્મન સતત મથુરા ઉપર આક્રમણ કરી રહ્યા હતાં. તે સમયે મથુરાની સુરક્ષા માટે શ્રીકૃષ્ણએ મથુરાથી દ્વારકા નગરી વસાવી હતી અને તે પછી તેઓ અહીં રહેવા લાગ્યાં હતાં.

ઉજ્જૈન
મધ્ય પ્રદેશમાં ઇન્દોર પાસે ઉજ્જૈન આવેલું છે. માન્યતા છે કે શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામાએ આ ક્ષેત્રમાં ગુરુ સાંદીપનિ પાસેથી અભ્યાસ ગ્રહણ કર્યો હતો. શ્રીકૃષ્ણ અહીં 64 દિવસ રહ્યા હતાં. ઉજ્જૈનમાં જ શ્રીકૃષ્ણનું સાસરું માનવામાં આવે છે. શ્રીકૃષ્ણની એક પટરાણી, જેમનું નામ મિત્રવૃંદા હતું, તે ઉજ્જૈનના હતાં.

જગતના નાથને શ્રીકૃષ્ણ નામ કોણે આપ્યું?:નંદ બાબાએ બાળકૃષ્ણને ભેટમાં આપી મુરલી અને નામ પડ્યું મુરલીધર, પરશુરામે સુદર્શન ચક્ર ભેટમાં આપ્યું હતું.


આજે (26 ઓગસ્ટ) શ્રી કૃષ્ણની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રાત્રે દરેક ઘરમાં શ્રીકૃષ્ણની વિશેષ પૂજા કરવામાં આવશે. જન્માષ્ટમી પર, ભક્તો શ્રીકૃષ્ણના મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનને વિશેષ રીતે શણગારવામાં આવે છે. વાંસળી, શંખ, સુદર્શન ચક્ર અને વૈજયંતી માળા ખાસ કરીને શ્રીકૃષ્ણના શણગારમાં સામેલ છે. જાણો કોણે આપી હતી શ્રીકૃષ્ણને આ વસ્તુઓ, શું છે તેમની સાથે જોડાયેલી માન્યતાઓ...

ક્યાંક હોડી જેવી આંખો, ક્યાંક મૂછોવાળા કૃષ્ણ:પુરીમાં લાકડા, ઊંટારીમાં 1300 કિલો સોનાથી બન્યા; કૃષ્ણ મૂર્તિઓના રસપ્રદ કિસ્સા...


રાજસ્થાનમાં કૃષ્ણને 'શ્રીનાથજી' કહેવામાં આવે છે. નાથદ્વારાના મંદિરમાં હોડીની આંખોવાળા શ્રીનાથ ગોવર્ધન પર્વતને પોતાની આંગળી પર ઉઠાવતા જોવા મળે છે. ગુજરાતમાં કૃષ્ણને 'દ્વારકાધીશ' કહેવામાં આવે છે. દ્વારકાધીશની મૂર્તિ ચાર હાથની એટલે કે ચતુર્ભુજની છે. કેટલાક મંદિરોમાં 1280 કિલો સોનાથી બનેલી કૃષ્ણની પ્રતિમા છે, તો ક્યાંક લાકડામાંથી બનેલી અધૂરી મૂર્તિ છે, તો કેટલીક જગ્યાએ મૂછવાળા કૃષ્ણની પણ છે.

કૃષ્ણ જન્માષ્ટમી પર ખાસ “જગતના નાથનું જીવન” સીરીઝ અંતર્ગત આજે જાણીશું વિવિધ વિસ્તારોમાં કૃષ્ણના અલગ-અલગ સ્વરૂપના રસપ્રદ કિસ્સાઓ…