Pages

Thursday, 13 July 2023

ISRO ના ચંદ્રયાનને ચાંદ સુધી પહોચતાં ૪૫ દિવસ કેમ લાગે છે? NASA નું યાન તો ચાર દિવસમાં પહોચી જાય છે...

ભારત અતિભારે રોકેટો અને પુષ્કળ ઇંધણને બદલે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરે છે. અમેરિકન અવકાશ સંશોધન સંસ્થા 'નાસા'નું અવકાશયાન ચાર દિવસમાં ચંદ્ર પર પહોંચી જાય છે, પરંતુ શ્રીહરિકોટા ખાતેથી લૉન્ચ થનાર ચંદ્રયાન-3ને ચંદ્ર પર પહોંચતાં 40 દિવસ થશે. નાસા દ્વારા 1969માં મોકલવામાં આવેલું ઍપોલો-11 ક્રૂ સ્પેસક્રાફ્ટ ચાર દિવસમાં તેના ગંતવ્યસ્થાને પહોંચી ગયું હતું, પરંતુ ઇસરોના ચંદ્રયાન-3ને ચંદ્રની ભ્રમણકક્ષામાં પહોંચવામાં 40 દિવસનો સમય લાગે છે.

નાસા 50 વર્ષ પહેલાં આટલી ઝડપથી પહોંચી શકતું હતું તો ઇસરોને આટલો સમય કેમ લાગે છે? તેનું કારણ એ છે કે નાસા ભારેખમ રોકેટો અને મોટા જથ્થામાં બળતણ દ્વારા યાનને સીધું જ ચંદ્ર સુધી પહોચાડે છે, ભારત નાના રોકેટ અને ઓછા ઇંધણ સાથે ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને યાનને પહોચાડે છે.

નાસાએ 1969ની 16 જુલાઈએ કેનેડી સ્પેસ સેન્ટરમાંથી સેટર્ન ફાઇવ એસએ 506 રૉકેટની મદદ વડે ત્રણ અવકાશયાત્રી નીલ આર્મસ્ટ્રોંગ, ઍડવિન ઍલ્ડ્રિન અને માઇકલ કૉલિન્સને ચંદ્ર પર મોકલ્યા હતા. તેઓ માત્ર ચાર દિવસ અને છ કલાકમાં તેમના લક્ષ્‍યસ્થાને પહોંચી ગયા હતા.

ઇસરો ચંદ્ર પર સંશોધન માટે માત્ર ઑર્બિટર અને લૅન્ડર મોકલી રહ્યું છે. જોકે, ચંદ્ર પર પહોંચવા માટે 40 દિવસના પ્રવાસનું આયોજન કરવા પાછળ ઘણાં ટેકનિકલ કારણ છે. નાસા દ્વારા 1969માં લૉન્ચ કરવામાં આવેલા ઍપોલો-11 રૉકેટનું વજન ઇંધણ સહિત લગભગ 2,800 ટન હતું, પરંતુ ઇસરો દ્વારા લૉન્ચ કરવામાં આવનાર જીએસએલવી માર્ક-3 રૉકેટનું વજન ઇંધણ સાથે માત્ર 640 ટન છે. તેમાં જે પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્ર પર જવાનું છે તેનું વજન 2148 કિલોગ્રામ છે. લૅન્ડર અને રૉવરનું વજન 1752 કિલોગ્રામ છે. ઇસરોનું જીએસએલવી એમકે-3 રૉકેટ ચાર ટન વજન વહન કરવા સક્ષમ છે. ઉપગ્રહોને અવકાશમાં પહોંચાડતા પીએસએલવી રૉકેટની વજન વહન ક્ષમતા સામાન્ય રીતે આટલી હોતી નથી, કારણ કે તેમણે માત્ર ઉપગ્રહનું વહન કરવાનું હોય છે અને તેને જીઓ-સિંક્રોનાઈઝ્ડ કે જિયો-સ્ટેશનરી ભ્રમણકક્ષામાં મૂકવાનાં હોય છે. ચંદ્રયાન અલગ છે, કારણ કે લૂનર લૉન્ચ વેહિકલ ઇંધણ ઉપરાંત ઘણાં બધાં સાધનો પણ હોય છે. આવા પ્રયોગો માટે સૌથી શક્તિશાળી રૉકેટનો ઉપયોગ કરવાનું કારણ આ છે.

આ સંદર્ભમાં નાસા દ્વારા લૉન્ચ કરવામાં આવેલાં રૉકેટો પણ વજનદાર હોય છે. પૃથ્વીની ભ્રમણકક્ષા પાર કર્યા પછી ચંદ્ર પર પહોંચેલા ઍપોલો અવકાશયાનનું વજન 45.7 ટન હતું. તેમાં 80 ટકાથી વધુ વજન ઇંધણનું હતું. ઍપોલો-11 લૅન્ડરને ચંદ્ર પર પહોંચ્યા પછી પૃથ્વી પર પાછા ફરવાનું હતું અને એ માટે મોટા પ્રમાણમાં ઇંધણ લઈ જવું જરૂરી હતું.

ઍપોલો-11 લૉન્ચ કરવા માટે સેટર્ન ફાઇવ એસએએ-506 નામના સૌથી શક્તિશાળી રૉકેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જંગી પ્રમાણમાં ઇંધણ અને મોટા રૉકેટને કારણે ઍપોલો-11એ ચંદ્રનો માત્ર ચાર દિવસ પ્રવાસ કર્યો હતો.

જીએસએલવી એમકે-3 ભારત પાસેનું સૌથી મોટું રૉકેટ છે. તેથી ઓછામાં ઓછા ઇંધણ સાથે ચંદ્ર પહોંચવાનો નવીન વિચાર ઇસરોએ અજમાવ્યો છે. જૂના જમાનામાં લોકો ગોફણની મદદથી ખેતરોમાં પાક ચણી જતાં પક્ષીઓને ઉડાડતા હતા. ગોફણની વચ્ચેના ભાગમાં એક નાનો પથ્થર મૂકવામાં આવે છે અને દોરડાના બન્ને છેડા વડે તેને થોડી વાર ફેરવીને ગોફણમાંનો પથ્થર મહત્તમ ગતિએ છોડવામાં આવે છે. તેનાથી પથ્થર ઓછી મહેનતે મહત્તમ અંતર સુધી ફેંકાય છે. આને સ્લિંગ શૉટ થિયરી કહેવામાં આવે છે. ઇસરો આ જ થિયરીનો ઉપયોગ કરીને, ઓછામાં ઓછા ઇંધણ સાથે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણનો ઉપયોગ કરીને ચંદ્ર પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ અભિગમને લીધે રૉકેટ સીધું ચંદ્ર પર જવાને બદલે ધીમે ધીમે ઊંચામાં ઊંચા બિંદુ પર પહોંચીને પૃથ્વીની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં જશે. એ પછી પૃથ્વીની ભ્રમણકક્ષા છોડીને ચંદ્ર તરફ પ્રયાણ કરશે અને ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. તેને લૂનર ઑર્બિટ ઇન્સર્શન કહેવામાં આવે છે.

એ પછી તે સમાન ભ્રમણકક્ષામાં ચંદ્રની આસપાસ ભ્રમણ કરશે. ધીમેધીમે નીચું આવશે અને ચંદ્રની નજીક સરકશે અને તેની સપાટી પર ઉતરાણ કરશે. આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થવામાં 40 દિવસ થશે.

No comments:

Post a Comment