Pages

Monday, 3 June 2024

मैं भारत का PM (Episode - 12) | ગુુજરાલને ઊંઘમાંથી ઉઠાડીને વડાપ્રધાન બનાવાયા: સંજય ગાંધીને કહ્યું- નમ્રતાથી વાત કરો, તમારો નહીં, તમારી માતાનો મંત્રી છું.


1997ની વાત છે. કોંગ્રેસે એચડી દેવગૌડા સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપવાનું શરૂ કર્યું હતું. ત્યારે પ્રાદેશિક પક્ષોનું ગઠબંધન યુનાઈટેડ ફ્રન્ટ ધર્મસંકટમાં પડ્યું. એક વર્ષમાં બીજી વખત વડાપ્રધાનના નામ માટે સંઘર્ષ શરૂ થયો હતો. તમામ ચર્ચા-વિચારણા બાદ ઈન્દર કુમાર ગુજરાલ નામ પર સર્વસંમતિ સધાઈ હતી.

આ નિર્ણયથી અજાણ ગુજરાલ પોતાના ઘરે હતા. ગઠબંધનના નેતાઓ તેમના ઘરે પહોંચ્યા. ખબર પડી કે સાહેબ સૂતા હતા.

પરિવારની પરવાનગી લઈને કેટલાક મોટા નેતાઓ તેમના રૂમમાં ગયા. ગુજરાલને ઊંઘમાંથી જગાડી કહ્યું- ઊઠો, તમારે ભારતના વડાપ્રધાન બનવાનું છે.

'મૈં ભારત કા પીએમ' શ્રેણીના 12મા એપિસોડમાં આઈ કે ગુજરાલના વડાપ્રધાન બનવાની કહાની અને તેની સાથે જોડાયેલા કિસ્સાઓ...

13 દિવસ વાજપેયી, 10 મહિના દેવગૌડા, આગામી પીએમ કોણ?
1996માં કેન્દ્રમાં ગઠબંધન સરકારનો સમયગાળો હતો. ભારતીય જનતા પાર્ટી લોકસભા ચૂંટણીમાં 161 બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી બની. અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા. માત્ર 13 દિવસ પછી જ વાજપેયીની સરકાર પડી ગઈ.

1 જૂન, 1996ના રોજ જનતા દળના એચડી દેવગૌડા વડાપ્રધાન બન્યા. તેમનો કિસ્સો અગાઉના એપિસોડમાં જણાવી ચૂક્યા છીએ. દેવગૌડાને કોંગ્રેસનું સમર્થન હતું, પરંતુ વડાપ્રધાન બન્યાના 10 મહિનામાં જ કોંગ્રેસે સમર્થન પાછું ખેંચી લીધું અને સરકાર પડી ગઈ. આ પછી, વડાપ્રધાન માટે ઘણાં નામો પર ચર્ચા શરૂ થઈ.

દાવેદારો ઘણા હતા. ઉદાહરણ તરીકે- સીતારામ કેસરી, મુલાયમ સિંહ યાદવ, જીકે મૂપનાર, લાલુપ્રસાદ યાદવ… પરંતુ કોઈ એક નામ પર સર્વસંમતિ બની શકી નહીં.

રશીદ કિદવાઈ તેમના પુસ્તક ભારતના વડાપ્રધાનમાં લખે છે કે ઈન્દર કુમાર ગુજરાલ વડાપ્રધાન તરીકે આક્સ્મિક રીતે મળ્યા હતા.

હકીકતમાં, ગુજરાલને બધા નેતાઓ સાથે સારા સંબંધો હતા. દરેક પાર્ટીમાં તેમની મિત્રતા હતી. મોટાભાગના લોકોને લાગ્યું કે આ એકમાત્ર નામ છે જેના પર કોઈ પણ પક્ષ ચોક્કસપણે એકવાર વિચાર કરશે. જોકે, મુલાયમ આ નામ સામે અડગ હતા. તેમને જ્યોતિ બસુએ સમજાવતા તેઓ સહમત થયા. બીજી તરફ સીતારામ કેસરી પણ ગુજરાલને પોતાના મિત્ર માનતા હતા તેથી તેઓ પણ મૌન રહ્યા હતા.

આ રીતે 21 એપ્રિલ 1997ના રોજ ગુજરાલે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. તેઓ 19 માર્ચ 1998 સુધી આ પદ પર રહ્યા.

ગુજરાલનું માનવું હતું કે પડોશીઓ સાથેના સંબંધો સુધારવાથી જ વિશ્વમાં પ્રભુત્વ પ્રાપ્ત થશે.

આઇ કે ગુજરાલે ભારતીય વિદેશ નીતિને કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો આપ્યા હતા. તેને 'ગુજરાલ સિદ્ધાંત' નામ આપવામાં આવ્યું. વિદેશ પ્રધાન તરીકે 1996માં ભારતને વ્યાપક પરમાણુ પરીક્ષણ પ્રતિબંધ સંધિ એટલે કે CTBT પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી નહીં. આ જ કારણ છે કે આજે ભારત પોતાને પરમાણુ શક્તિ જાહેર કરવામાં સફળ રહ્યું છે.

ગુજરાલનો એક સિદ્ધાંત કહે છે કે જો કોઈ દેશ આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રભુત્વ મેળવવા માંગતો હોય તો તેણે તેના પડોશી દેશો સાથે સામાન્ય સંબંધો બનાવવા પડશે.

વરિષ્ઠ પત્રકાર રશિદ કિદવાઈના જણાવ્યા અનુસાર, 'પહેલા વિદેશ મંત્રી અને પછી વડાપ્રધાન તરીકે ગુજરાલ ઇચ્છતા હતા કે ભારત તેના પાડોશી દેશો જેમ કે માલદીવ, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકા અને ભૂટાન સાથે વિશ્વાસ કેળવે. તેમની સાથે જે પણ વિવાદ હોય તેને વાતચીતથી ઉકેલે. જો તમે કોઈ પાડોશી દેશને મદદ કરી છે તો તરત જ તેની પાસેથી કોઈ અપેક્ષા ન રાખો.

આ વિચારધારા સાથે જોડાયેલી એક ઘટના પત્રકાર સૈકત દત્તા પણ જણાવે છે. 'ગુજરાલ નવા વડાપ્રધાન બન્યા હતા. તેમણે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ એટલે કે RAWના ખાસ વરિષ્ઠ અધિકારીઓને પોતાની ઓફિસમાં બોલાવ્યા. તે અધિકારીઓને સૂચના આપી કે પાકિસ્તાનમાં તેમની ગતિવિધિઓ બંધ કરી દો. એવું માનવામાં આવે છે કે ત્યારબાદથી જ પાકિસ્તાનમાં કામ કરવા અંગે RAW પાસે કોઈ સ્પષ્ટ આદેશ નથી.

ગુજરાલના પાકિસ્તાન પ્રત્યેના નરમ વર્તન પર લોકોએ ઘણી વખત સવાલ ઉઠાવ્યા. એકવાર ગુજરાલ 'ધ ટેલિગ્રાફ' અખબારને ઈન્ટરવ્યૂ આપી રહ્યા હતા. પત્રકાર કેપી નાયરે તેમને કહ્યું- ભારતીય કૂટનીતિ વિશે એવી ધારણા છે કે પાકિસ્તાન પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવી રહ્યું છે. તમે નરમ વલણ રાખીને પાકિસ્તાન સાથે કામ નહીં કરી શકો.
આ સાંભળીને ગુજરાલ ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં તેમણે કહ્યું- શું તમને લાગે છે કે હું પાકિસ્તાનને કંઈક આપી દઇશ? હું એટલો જ દેશભક્ત છું જેટલો અન્ય કોઈ હોઈ શકે.

સીતારામ કેસરીના PM બનવાના સપનાએ ગુજરાલ સરકાર પાડી.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પોતાના પુસ્તક 'ધ કોલિશન ઇયર્સ 1996-2012'માં લખ્યું છે કે, 'સીતારામ કેસરીએ તે સમયે વડાપ્રધાન બનવાના સપના જોવા માંડ્યા હતા. અસ્થિર અને લઘુમતી સરકારોના યુગમાં તેમને લાગ્યું કે કદાચ તેઓ તેમની રાજકીય મહત્ત્વાકાંક્ષાઓ પૂરી કરી શકશે.

સીતારામ કેસરી એક બહાનાની રાહમાં હતા, ત્યાં રાજીવ ગાંધીની હત્યા સંબંધિત જૈન પંચનો વચગાળાનો અહેવાલ આવ્યો.

પ્રણવ મુખર્જી લખે છે, 'જૈન પંચના વચગાળાના અહેવાલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડીએમકે અને તેના નેતા એલટીટીઈના વડા પ્રભાકરનને પ્રોત્સાહન આપી રહ્યા હતા. જોકે, રાજીવ ગાંધીની હત્યામાં ડીએમકેના કોઈપણ નેતા કે પક્ષનું નામ સીધું જોડાયેલું નહોતું. તે સમયે ગુજરાલની સંયુક્ત મોરચાની સરકારમાં ડીએમકે પણ સામેલ હતી. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થન આપી રહી હતી.

આવી સ્થિતિમાં ગુજરાલે વરિષ્ઠ નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ડિનરનું આયોજન કર્યું હતું. પ્રણવ મુખર્જી લખે છે, 'ત્યારે ગુજરાલે કહ્યું કે જો આવા સમયે ડીએમકે વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો તેનાથી ખોટો સંદેશ જશે. તેઓ ઇચ્છતા ન હતા કે સરકારની વિશ્વસનીયતા પર અસર પડે.''

બીજી તરફ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. મોટાભાગના સભ્યો ગુજરાલ સરકાર પાસેથી સમર્થન પાછું ખેંચવા માંગતા ન હતા. પ્રણવ લખે છે, 'તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસમાં મજબૂત સ્થિતિમાં હતા. પોતાના પ્રભાવનો ઉપયોગ કરીને કેસરીએ ટેકો પાછો ખેંચવાનો ઠરાવ પસાર કરાવ્યો. આ રીતે 28 નવેમ્બર 1997ના રોજ ઈન્દર કુમાર ગુજરાલની સરકાર પડી ગઈ.

સંજય ગાંધીને કહ્યું- તમારી માતાનો પ્રધાન છું, તમારો નહીં
ઈન્દિરા ગાંધીની સરકાર હતી. દેશમાં ઈમર્જન્સી લાદવામાં આવી હતી. ઈન્દિરાના નાના પુત્ર સંજય ગાંધી પર ઈમર્જન્સી દરમિયાન અત્યાચાર કરવાનો આરોપ હતો. આ મામલાની તપાસ માટે શાહ કમિશનની રચના કરવામાં આવી હતી. જગ્ગા કપૂરે આ કમિશન વિશે એક પુસ્તક લખ્યું છે, 'વ્હોટ પ્રાઇસ ફોર્જરી - ફેક્ટ્સ ઑફ ધ શાહ કમિશન'.

આ પુસ્તકમાં આઈકે ગુજરાલ અને સંજય ગાંધી સાથે જોડાયેલી એક ઘટના છે. તે સમયે ગુજરાલ કોંગ્રેસ સરકારમાં માહિતી અને પ્રસારણ મંત્રી હતા. તેમને સંજય ગાંધીએ આદેશ આપ્યો- ઓલ ઈન્ડિયા રેડિયોમાં વાંચવામાં આવતા સમાચારને સેન્સર કરવામાં આવે. ઓલ ઈન્ડિયા રેડિયોના તમામ ન્યૂઝ બુલેટિન ટેલિકાસ્ટ કરતા પહેલાં મને બતાવવામાં આવે.

ગુજરાલે તેમની વાત સાંભળી અને પછી નિરાંતે બોલ્યા– માહિતી અને પ્રસારણ મંત્રી હું છું. શું સાચું, શું ખોટું હું જોઇ લઇશ.

આ જવાબ પછી બંને વચ્ચે દલીલ શરૂ થઈ ગઈ. ઈન્દિરા ગાંધી ત્યાં હાજર હતાં. તેમણે પોતાના પુત્રને ચૂપ કરાવી દીધો. ગુજરાલ ત્યાંથી ચાલ્યા જાય છે.

આ ઘટનાના થોડા દિવસો પછી ગુજરાલને વડાપ્રધાનના નિવાસસ્થાનેથી ફોન આવે છે. ફોનની બીજી બાજુની વ્યક્તિ કહે છે - મેડમ તમને મળવા માંગે છે. ગુજરાલ ઈન્દિરાને મળવા પહોંચે છે.

વીર સંઘવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગુજરાલે કહ્યું હતું કે, 'મને પીએમ હાઉસમાંથી ફોન આવ્યો હતો કે તમે પીએમને મળવા આવો. સાડા દસ કે અગિયાર વાગ્યાની આસપાસ હું ત્યાં પહોંચ્યો. ત્યાં સુધીમાં વડાપ્રધાન તેમના કાર્યાલય માટે રવાના થઈ ગયા હતા.

હું જ્યારે બહાર આવવા લાગ્યો ત્યારે સંજય ગાંધી આવી પહોંચ્યા. તે દિવસે તેઓ ખૂબ જ ખરાબ મૂડમાં હતા કારણ કે ઓલ ઈન્ડિયા રેડિયો ચેનલે ઈન્દિરા ગાંધીનું ભાષણ ટેલિકાસ્ટ કર્યું ન હતું.

સંજયે ગુસ્સામાં કહ્યું, 'જુઓ, આ નહીં ચાલે.'
ગુજરાલે જવાબ આપ્યો, 'જુઓ, જ્યાં સુધી હું છું, ત્યાં સુધી આવું જ ચાલશે.'

સંજય ગાંધી બૂમો પાડવા લાગ્યા. તેના પર ગુજરાલે કહ્યું- વાત કરવી હોય તો થોડો શિષ્ટાચાર શીખો. તમને વડીલો સાથે કેવી રીતે વાત કરવી તે પણ આવડતું નથી. તમારા પ્રત્યે મારી કોઈ જવાબદારી નથી. હું તમારી માતાનો પ્રધાન છું, તમારો નહીં.’
આ પછી જ ગુજરાલના હાથમાંથી માહિતી અને પ્રસારણ મંત્રાલય છીનવાઈ ગયું.

ઈન્દિરા કહેતાં રહ્યાં પણ ગુજરાલે પોતાની ઘડિયાળ ના આપી.

1976ની વાત છે. તે સમયે આઈકે ગુજરાલ મોસ્કોમાં ભારતના રાજદૂત હતા. વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સોવિયેત સંઘના પ્રવાસે પહોંચ્યાં હતાં. તેમના સ્વાગત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાલ પણ ત્યાં ઈન્દિરા સાથે હાજર હતા. તેમના હાથમાં હંમેશા એચએમટીની ઘડિયાળ રહેતી. તે સમયે માત્ર શ્રીમંત અને પ્રભાવશાળી લોકો જ એચએમટીની ઘડિયાળો પહેરતા હતા. સોવિયેત યુનિયનના વડા બ્રેઝનેવને ગુજરાલની ઘડિયાળ ખૂબ પસંદ આવી. તેમણે ગુજરાલને ઘડિયાળને લગતા ઘણા પ્રશ્નો કાર્યક્રમમાં બેઠા-બેઠા દુભાષિયાના માધ્યમથી જ પૂછી લીધા.

ઈન્દિરા દુભાષિયાને સાંભળી રહ્યાં હતાં. તેમણે ગુજરાલને હિન્દીમાં કહ્યું- 'તમારી ઘડિયાળ ઉતારી તેમને આપી દો ને.'
ગુજરાલે આવું ન કર્યું. ઇન્દિરાએ ફરી કહ્યું- આપતા કેમ નથી? આપી દો ઘડિયાળ.

તેમણે ઈન્દિરા અને દુભાષિયા દ્વારા બ્રેઝનેવને કહ્યું– હું આ સમયે રાજદ્વારી શિષ્ટાચારથી બંધાયેલો છું. હું ઈચ્છું તો પણ મારી ઘડિયાળ ખોલીને તમને ગિફ્ટ કરી શકતો નથી. હું ચોક્કસ વચન આપું છું કે હું તમને આવી એક ઘડિયાળ મોકલીશ.'

પાછળથી તેમણે પોતાનું વચન પૂરું પણ કર્યું અને આવી ઘણી ઘડિયાળો બ્રેઝનેવને મોકલી.

આ ઘટનાનો ઉલ્લેખ વર્ષો પછી ગુજરાલે પત્રકાર વીર સંઘવીને આપેલી મુલાકાતમાં કર્યો હતો. સંઘવીએ તેમના પુસ્તક 'મેન્ડેટઃ વિલ ઓફ ધ પીપલ'માં ગુજરાલને ટાંકીને સમગ્ર કિસ્સો સંભળાવ્યો.

સદ્દામ હુસૈન ગુજરાલને ભેટી પડ્યા.
ગુજરાલની આત્મકથા 'મેટર્સ ઑફ ડિસ્ક્રિશન'માં લખ્યું છે, 'હું તે દિવસોમાં વિદેશ પ્રધાન હતો. ઈરાક અને કુવૈત વચ્ચેના સંબંધો સારા ન હતા. જ્યારે હું સદ્દામ હુસૈનને મળ્યો ત્યારે તે ખાખી યુનિફોર્મમાં હતા. તેમની કમર પર પિસ્તોલ લટકેલી હતી. મને જોતા જ તેમણે મને ગળે લગાવી લીધો.

ત્યાં ફોટોગ્રાફર્સ હાજર હતા. અમારી મિટિંગનો ફોટો દેશ અને દુનિયાનાં અખબારોમાં પ્રકાશિત થયો. આનાથી અમારી સ્થિતિ વધુ ખરાબ થઈ ગઇ. આનાથી સમગ્ર વિશ્વમાં સંદેશો ગયો કે જે સદ્દામ હુસૈનની વિશ્વભરમાં નિંદા થઈ રહી છે તેમને ભારતના વિદેશ મંત્રી ગળે લગાવી રહ્યા છે.

ગલ્ફ દેશના પૂર્વ સંયુક્ત સચિવ અને રાજદૂત કેપી ફેબિયનએ 'ફોરેન અફેર્સ જનરલ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં ગુજરાલનો બચાવ કરતા કહ્યું હતું કે જો કોઈપણ દેશના રાજ્યના વડા તમને ગળે લગાવવા માગે છે, તો તમે 'ડક' તો નહીં કરી શકો. એટલે કે તમે તેમને ના નહીં પાડી શકો.

જો કે, આ મુલાકાતનો ફાયદો એટલો થયો કે કુવૈતમાં ફસાયેલા 1 લાખ 70 હજાર ભારતીયોને વિમાન દ્વારા સુરક્ષિત રીતે દેશમાં પાછા લાવવામાં ગુજરાલ સફળ થયા. આ પ્રકારનું તેને વિશ્વનું સૌથી મોટું ઓપરેશન માનવામાં આવે છે. એક સમયે આટલા લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવવાનો આ વર્લ્ડ રેકોર્ડ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયો હતો.

No comments:

Post a Comment