Pages

Wednesday, 20 November 2024

કેરેબિયન દેશ ડોમિનિકાએ મોદીને સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કર્યા:PMએ કહ્યું- 140 કરોડ ભારતીયોનું સન્માન; ગયાનાના રાષ્ટ્રપતિએ કહ્યું- તેઓ લીડર્સના ચેમ્પિયન.


ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને 'ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત કર્યા હતા.

ગયાનામાં કેરેબિયન દેશ ડોમિનિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ધ ડોમિનિકા એવોર્ડ ઓફ ઓનર'થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટને પીએમ મોદીને એવોર્ડ આપ્યો હતો. પીએમ મોદીને કોવિડ-19 મહામારી દરમિયાન ડોમિનિકામાં વેક્સિન પહોંચાડવા બદલ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમણે આ એવોર્ડ તમામ ભારતીયોને સમર્પિત કર્યો છે.

આ સિવાય ગુયાનાની બે દિવસીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કેરેબિયન દેશોના પ્રતિનિધિઓ સાથે બીજી ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં પણ ભાગ લીધો હતો.

શિખર સંમેલનમાં, વડાપ્રધાને કેરેબિયન દેશોના પ્રતિનિધિઓ સાથે દ્વિપક્ષીય ચર્ચા કરી હતી. ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન ઉપરાંત પીએમ મોદીએ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્કેરીટ અને સુરીનામના રાષ્ટ્રપતિ ચાન સંતોખી સાથે પણ વાતચીત કરી હતી.

વાતચીત બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઈરફાને પણ લોકોને સંબોધન કર્યુ હતું. ગયાના રાષ્ટ્રપતિ કહ્યું-

“PM મોદીનું અહીં હોવું અમારા માટે સૌથી મોટું સન્માન છે. તે નેતાઓમાં ચેમ્પિયન છે. મોદીએ શાનદાર લીડરશિપ દર્શાવી છે. વિકાસશીલ વિશ્વને પ્રકાશ બતાવ્યો છે. વિકાસની તે પદ્ધતિ અપનાવવામાં આવી છે, જેને ઘણા લોકો તેમના દેશમાં અપનાવી રહ્યા છે.”

ગયાનામાં તેમનું સ્વાગત કરવા બદલ મોદીએ રાષ્ટ્રપતિ ઈરફાનનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ઈરફાનનો ભારત સાથે ખાસ સંબંધ છે. તેઓ ભારતીય સમુદાયના બ્રાન્ડ એમ્બેસેડર છે.

પીએમએ કહ્યું કે તેઓ લગભગ 24 વર્ષ પછી ગયાનાની મુલાકાતે આવ્યા છે. અગાઉ તેઓ સામાન્ય માણસ તરીકે અંગત મુલાકાત માટે ગયાના આવ્યા હતા. 56 વર્ષ પછી કોઈ ભારતીય પીએમની ગુયાનાની આ મુલાકાત છે.

ઈન્ડિયા-કેરીકોમ સમિટમાં કેરેબિયન દેશોના પ્રતિનિધિઓ સાથે પીએમ મોદી.

ગયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

તેમના સંબોધનમાં પીએમ મોદીના મહત્વના મુદ્દાઃ-
🔹ગયાનાના લોકોના કૌશલ્ય વિકાસમાં ભારતે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. અમે આ સહકારને આગળ વધારીશું.
🔹ભારત શિષ્યવૃત્તિ અને તાલીમ દ્વારા ગયાનાના સૈનિકોની ક્ષમતા વિકાસમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
🔹ગયા વર્ષે, અમે મિલેટ્સ આપીને ખાદ્ય સુરક્ષામાં ફાળો આપ્યો હતો. હવે અમે અન્ય પાકની ખેતીમાં પણ મદદ કરીશું.
🔹બંને દેશોની કૃષિ સંસ્થાઓ વચ્ચે સહકાર વધારવા એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
🔹ભારત ગયાનામાં જન ઔષધિ કેન્દ્ર ખોલશે.

સંબોધન બાદ પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઈરફાને વૃક્ષારોપણ કર્યું હતું.

G20 સમિટમાં ભાગ લીધા બાદ મોદી ગયાના પહોંચ્યા હતા
આ પહેલા પીએમ મોદી બ્રાઝિલમાં જી-20 સમિટની બેઠક બાદ બુધવારે સવારે ગયાના પહોંચ્યા હતા. રાજધાની જ્યોર્જટાઉનમાં ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અને વડાપ્રધાન એન્ટની ફિલિપ્સ પ્રોટોકોલ તોડીને તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પહોંચ્યા હતા. તેમની સાથે લગભગ એક ડઝન કેબિનેટ મંત્રીઓએ પણ પીએમ મોદીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટ પર જ તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું.

ગયાનામાં પીએમ મોદીને સર્વોચ્ચ રાષ્ટ્રીય પુરસ્કાર 'ધ ઓર્ડર ઓફ એક્સેલન્સ'થી સન્માનિત કરવામાં આવશે. આ સિવાય બાર્બાડોસ તેમને 'ઓનરરી એવોર્ડ ઓફ ફ્રીડમ ઓફ બાર્બાડોસ'થી પણ સન્માનિત કરશે.

PM મોદીનું RIU હોટલમાં સાંસ્કૃતિક પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું.

પીએમ મોદી 20 અને 21 નવેમ્બરના રોજ ગયાનાની સરકારી મુલાકાતે છે. 56 વર્ષમાં ગુયાનાની મુલાકાત લેનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી 1968માં ગયાના ગયા હતા. PM મોદી ગયાના સંસદની વિશેષ બેઠકને સંબોધન કરશે. તેઓ CARICOM-ઇન્ડિયા સમિટમાં પણ ભાગ લેશે.

2020માં ગયાનામાં તેલ અને ગેસની ખાણોની શોધ પછી, તેનો જીડીપી વાર્ષિક આશરે 40% ના દરે વધી રહ્યો છે. આ કારણે તે વેપાર અને રોકાણનું કેન્દ્ર બની ગયું છે. આવી સ્થિતિમાં, ગયાનાની મુલાકાત દરમિયાન, પીએમ મોદી અને ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઇરફાન અલી વચ્ચે ઊર્જા અને સંરક્ષણ સંસાધનોને લગતી ડીલ થઈ શકે છે.

ગયાનાની 40% વસ્તી ભારતીય મૂળની છે. ખુદ રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીના પૂર્વજોને બ્રિટિશ જહાજમાં કેરેબિયન દેશમાં લાવવામાં આવ્યા હતા.

ગયા વર્ષે જાન્યુઆરીમાં ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી પ્રવાસી ભારતીય સંમેલનમાં મુખ્ય અતિથિ તરીકે ભારત આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ ભરત જગદેવ પણ ફેબ્રુઆરી 2023માં ભારત આવ્યા હતા. આ વર્ષે ફેબ્રુઆરીમાં ગયાનાના વડાપ્રધાન માર્ક ફિલિપ્સ પણ ભારતની મુલાકાતે આવ્યા હતા.

ગુયાના નજીક કુદરતી ગેસ અને તેલના ભંડાર
ગયાના 21 કેરેબિયન દેશોના જૂથ કેરીકોમનું સભ્ય છે. જૂથ કેરેબિયન દેશો વચ્ચે આર્થિક, રાજકીય અને સામાજિક એકીકરણને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. ગુયાનાને "કેરેબિયનના અન્ન ભંડાર" તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમજ, પનામા કેનાલની નજીક હોવાને કારણે ગયાનાનું વ્યૂહાત્મક સ્થાન પણ વધે છે.

વિશ્વ બેંકના અહેવાલ મુજબ, ગયાનામાં અંદાજે 11.2 અબજ બેરલ તેલનો ભંડાર અને 17 ટ્રિલિયન ક્યુબિક ફૂટ કુદરતી ગેસ છે. 2020માં કુદરતી ગેસ અને તેલના ભંડારની શોધ પછી, અહીં માથાદીઠ આવક $18,199 ને પાર થઈ ગઈ.

ગયાના અને ભારતના સંબંધો
ભારતીય કમિશનની સ્થાપના મે 1965માં ગયાનાની રાજધાની જ્યોર્જટાઉનમાં કરવામાં આવી હતી. ઈન્દિરા ગાંધીએ આઝાદી મળ્યાના બે વર્ષ બાદ 1968માં ગયાનાની મુલાકાત લીધી હતી. 1988માં તત્કાલિન ઉપરાષ્ટ્રપતિ ડૉ.શંકર દયાલ શર્મા અને 2006માં તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ભૈરોન સિંહ શેખાવત ગયાનાની રાજ્ય મુલાકાતે ગયા હતા.

2023-24માં કુલ ભારત-ગયાનાનો પરસ્પર વેપાર US$ 105.97 મિલિયન હતો. આ સમયગાળા દરમિયાન ભારતે ગયાનામાં $99.36 મિલિયનની નિકાસ કરી હતી.

મે 2024 સુધીમાં, ગયાના લગભગ 645,000 બેરલ ક્રૂડ ઓઈલ અને ગેસનું ઉત્પાદન કરી રહ્યું હતું. આને ધ્યાનમાં રાખીને ઓઇલ અને નેચરલ ગેસ શાખા 'ONGC વિદેશ' પણ અહીં સતત તકો શોધી રહી છે. આ વર્ષની શરૂઆતમાં, ભારતે ક્રૂડ ઓઇલ સોર્સિંગ સહિત હાઇડ્રોકાર્બનમાં સહકાર આપવા માટે ગયાના સાથે પાંચ વર્ષના એમઓયુને મંજૂરી આપી હતી.

ગયાનાના વિદેશ સચિવ રોબર્ટ પરસૌડે મોદીની ગુયાનાની મુલાકાતને વિશ્વની બે સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થાઓ વચ્ચેના સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ગણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ઉર્જા અને સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર થવાની આશા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખાદ્ય સુરક્ષા, સ્વાસ્થ્ય અને ટેકનોલોજી પર પણ દ્વિપક્ષીય વાતચીત થઈ શકે છે.

©️ Vats Asodariya

No comments:

Post a Comment