એશિયાના સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડમાં કોરોના વાઇરસના કેસ ફરી વધી રહ્યા છે. આ દેશોમાં નવા કેસોની સંખ્યા વધી રહી છે. 1 મે થી 19 મે દરમિયાન, સિંગાપોરમાં 3000 દર્દીઓ મળી આવ્યા હતા. એપ્રિલના છેલ્લા અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 11,100 હતી. અહીં કેસોમાં 28%નો વધારો થયો છે. જોકે ભારતમાં હાલમાં 93 કેસ છે.
🖼️ સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઇલેન્ડ જેવા દેશોમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.
🔸જાન્યુઆરીથી હોંગકોંગમાં 81 કેસ નોંધાયા છે. જેમાંથી 30 લોકોનાં મોત થયાં છે. ચીન અને થાઇલેન્ડમાં પણ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જોકે દર્દીઓની સંખ્યા અંગે અહીં કોઈ માહિતી આપવામાં આવી નથી.
🔸આ વખતે, ઓમિક્રોનના નવા વેરિઅન્ટ JN1 અને તેના પેટા વેરિઅન્ટ LF7 અને NB1.8ને ચેપ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. અધિકારીઓ કહે છે કે અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી કે આ નવા પ્રકારો વધુ ખતરનાક છે અથવા પહેલા કરતા વધુ ઝડપથી ફેલાય છે. જોકે, તેમનું માનવું છે કે આ લહેર નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો પર અસર કરી શકે છે.
🟥 ચીન અને થાઇલેન્ડમાં એલર્ટ, વાઇરસના કેસ બમણા થયા.
🔸ચીન અને થાઇલેન્ડની સરકારો પણ કોવિડ અંગે સતર્ક છે. ચીનમાં, રોગની તપાસ માટે જતા દર્દીઓમાં કોરોના વાઇરસના કેસ બમણા થઈ ગયા છે.
🔸લોકોને બૂસ્ટર ડોઝ લેવાની સલાહ આપવામાં આવી છે. ચાઇનીઝ સેન્ટર ફોર ડિસીઝ એન્ડ પ્રિવેન્શનના ડેટા અનુસાર, કોવિડની લહેર ટૂંક સમયમાં તીવ્ર બની શકે છે.
🔸તેમજ, થાઇલેન્ડમાં બે અલગ અલગ વિસ્તારોમાં કોવિડના કેસોમાં ઝડપથી વધારો થયો છે.
🟥 JN1 વેરિયન્ટ રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે.
🔸JN1 એ ઓમિક્રોનના BA2.86 નો એક સ્ટ્રેન છે. જે ઓગસ્ટ 2023માં પહેલી વાર જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2023માં, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ તેને 'વેરિયન્ટ ઓફ ઈન્ટરેસ્ટ' જાહેર કર્યો.
🔸તેમાં લગભગ 30 મ્યુટેશન્સ છે, જે રોગપ્રતિકારક શક્તિને નબળી પાડે છે. અમેરિકાની જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી અનુસાર, JN1 પહેલાંના વેરિઅન્ટ કરતાં વધુ સરળતાથી ફેલાય છે, પરંતુ તે ખૂબ ગંભીર નથી. તે વિશ્વના ઘણા ભાગોમાં સૌથી સામાન્ય વેરિયન્ટ બનેલો છે.
🔸COVID-19 JN1ના લક્ષણો થોડા દિવસોથી લઈને અઠવાડિયા સુધી રહી શકે છે. જો તમારા લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે, તો તમને લોન્ગ-COVID હોઈ શકે છે. આ એક એવી સ્થિતિ છે જેમાં કોવિડ-19ના કેટલાક લક્ષણો સ્વસ્થ થયા પછી પણ ચાલુ રહે છે.
🟥 શું હાલની વેક્સિન JN1 પર કામ કરે છે?
🔸અભ્યાસ મુજબ, JN1ને બેઅસર કરવો ઈમ્યુન સિસ્ટમ માટે થોડો મુશ્કેલ છે. અગાઉની વેક્સિન અથવા એન્ટિબોડીઝ તેની સામે ઓછા અસરકારક હોય છે, પરંતુ XBB.1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર વેક્સિન JN1 સામે લડવામાં મદદ કરે છે.
🔸WHO મુજબ, XBB1.5 મોનોવેલેન્ટ બૂસ્ટર એ COVID-19 વેક્સિન છે. તે ખાસ કરીને ઓમિક્રોનના XBB1.5 સબ-વેરિયન્ટને ઓળખવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. આ બૂસ્ટર શરીરમાં એન્ટિબોડીઝ વધારે છે અને JN1થી થતા રોગને 19% થી 49% સુધી અટકાવી શકે છે.
🟥 ભારતમાં 93 કેસ નોંધાયા.
🔸ભારતમાં હાલ કોરોનાની કોઈ મોટી લહેર દેખાતી નથી. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર, 19 મે, 2025 સુધીમાં દેશમાં ફક્ત 93 કેસ નોંધાયા છે.
🔸મુંબઈના ડોક્ટરોએ હળવા લક્ષણોવાળા કેટલાક કેસ જોયા છે, ખાસ કરીને યુવાનોમાં, પરંતુ નવી લહેરના કોઈ અહેવાલ નથી. પાડોશી દેશોમાં વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ભારતીય આરોગ્ય નિષ્ણાતોએ સાવધાની રાખવા અને વેક્સિન લેવાની સલાહ આપી છે.
🟥 ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોનાં મોત થયાં હતાં.
🔸આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાને કારણે 5 લાખથી વધુ લોકોના મોત થયા છે. ભારતમાં કોરોનાનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. માર્ચ 2020માં, દેશવ્યાપી લોકડાઉન લાદવામાં આવ્યું હતું.
🔸ભારતમાં કોરોનાની પહેલી લહેર જાન્યુઆરી 2020 થી ફેબ્રુઆરી 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન, આશરે 1.08 કરોડ કોરોના કેસ નોંધાયા હતા. 17 સપ્ટેમ્બર 2020ના રોજ એક દિવસમાં સૌથી વધુ 98 હજાર મામલા જોવા મળ્યા હતા. આ લહેરમાં 1.55 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 412 મૃત્યુ નોંધાયા હતા.
🔸કોરોનાની બીજી લહેર માર્ચ 2021 થી મે 2021 સુધી ચાલી હતી. આ દરમિયાન, કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે એપ્રિલ-મે 2021માં સૌથી વધુ કેસ અને મૃત્યુ નોંધાયાં હતાં.
🔸બીજી લહેર સૌથી ઘાતક હતી, જેમાં હોસ્પિટલો અને ઓક્સિજનની ભારે અછત જોવા મળી હતી. ડેલ્ટા વેરિયન્ટે ઝડપથી સંક્રમણ ફેલાવ્યું, અને આરોગ્ય વ્યવસ્થા પર ભારે દબાણ લાવ્યું. આ લહેરમાં 1.69 લાખ મૃત્યુ થયા હતા. દરરોજ સરેરાશ 2,769 મૃત્યુ નોંધાયા હતા.
🔸કોરોનાનો ત્રીજો તબક્કો ડિસેમ્બર 2021 થી ફેબ્રુઆરી 2022 સુધીનો હતો. ઓમિક્રોન વેરિયન્ટને કારણે, જાન્યુઆરી 2022માં કોરોનાના કેસ ઝડપથી વધ્યા.
🔸જોકે ત્રીજી લહેરમાં ઓમિક્રોન વેરિયન્ટને કારણે કેસોમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો, પરંતુ તે બીજી લહેર કરતા ઓછી ઘાતક હતી. મૃત્યુદર ફક્ત 0.2% હતો. આ લહેરમાં 10,465 લોકોના મોત થયા હતા. લગભગ 50.05 લાખ નવા કેસ નોંધાયા હતા.
No comments:
Post a Comment